છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો તંગ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત પર ટેરિફ લાદી હતી, પરંતુ હવે તેમનું વલણ બદલાયું હોવાનું જણાય છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે (7 નવેમ્બર) કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે વારંવાર વાતચીત થઈ રહી છે. સાથે જ ટ્રેડ એગ્રીમેન્ટ પર એક મહત્વપૂર્ણ અપડેટ આપતાં જણાવ્યું કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે. તે (વડાપ્રધાન મોદી) મારા ખૂબ સારા મિત્ર છે, અને અમે ઘણી વાર વાત કરીએ છીએ. હું જલ્દી જ ત્યાં જઈશ. વડાપ્રધાન મોદી એક મહાન નેતા છે.” ટ્રમ્પ પહેલા ભારત પ્રત્યે કડક દેખાતા હતા, પરંતુ હવે તેમનું વલણ નરમ પડ્યું છે.

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર ક્યારે થશે?

ભારત સાથેના વેપાર સોદા અંગે વ્હાઇટ હાઉસે કહ્યું કે બંને દેશો વચ્ચે સારી વાટાઘાટો ચાલી રહી છે. અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં વેપાર કરાર થઈ શકે છે. એ પણ મહત્વનું છે કે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતની મુલાકાત લેશે.

મોદી-ટ્રમ્પ સંબંધો પર વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે શું કહ્યું?

ટ્રમ્પ પહેલા વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પણ વડાપ્રધાન મોદી વિશે નિવેદન આપ્યું હતું. બુધવારે (5 નવેમ્બર) તેમણે કહ્યું કે ટ્રમ્પ ભારત-અમેરિકા સંબંધોને લઈને ખૂબ જ સકારાત્મક છે અને તેમને બંને દેશોના સંબંધોમાં ઊંડો વિશ્વાસ છે. તેમણે વધુમાં કહ્યું કે ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી ઘણા મુદ્દાઓ પર સીધી ચર્ચા કરે છે.

ઉલ્લેખનીય છે કે ભારતની સાથે સાથે ચીન પ્રત્યે પણ ટ્રમ્પનું વલણ બદલાયું છે. ગયા મહિને ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ હતી. આ બેઠક બાદ ચીન અને અમેરિકા વચ્ચે વેપાર ફરી શરૂ થયો છે અને ટેરિફનો મુદ્દો પણ અમુક અંશે ઉકેલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here