ગાંધીનગરઃગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં નેચરોપેથી -પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ ‘નેચરોપથી ડે’ અને ‘પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વ’ના કટ આઉટનું અનાવરણ કર્યું હતું.
પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વની ઉજવણી અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે 685 લોકોએ એકસાથે વૃક્ષાસન કરી, ચેહરા પર ફેસ મડ પેક કરીને સામૂહિક ધૂપ સ્નાન કર્યા હતા. જેને IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઘોષિત કરવામાં આવ્યો હતો. સાથે જ, 658 લોકો દ્વારા કરાયેલા સામૂહિક વૃક્ષાસન અને ધૂપ સ્નાનને એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઘોષિત કરવામાં આવ્યો હતો.
આઠમાં પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજના ભૌતિકવાદના યુગના દુષ્પરિણામો આપણે અનુભવી રહ્યા છીએ. આવા સમયે સ્વાસ્થ્ય અને પ્રકૃતિ સાથે જોડાણનું મહાઅભિયાન ચલાવવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યપાલએ પ્રકૃતિ પ્રત્યે જોડાણ અપનાવવાની જરૂરિયાત સમજાવતા જણાવ્યું હતું કે, ભારતીય ઋષિમુનિઓને પ્રકૃતિ સાથે વિશેષ જોડાણ હતું. યોગ, પ્રાણાયામ જેવી વિદ્યા ઋષિમુનિઓએ આપણને આપી છે. પ્રકૃતિનો નિયમ છે કે જે વ્યક્તિ તેની સાથે જેટલો સંબંધ સ્થાપીને ચાલે છે, તે આધ્યાત્મિક, માનસિક, શારીરિક સ્વરૂપે એટલો જ સ્વસ્થ રહે છે. આપણે જેટલા પ્રકૃતિથી દૂર જઈએ એટલા જ દુઃખો અનુભવીએ છીએ. જલ્દીથી આપણે પ્રકૃતિ તરફ પાછા વળવાની જરૂર છે. એટલે જ, ભારતીય ઋષિમુનિઓ, ગાંધીજી તથા પદ્મશ્રી જય પ્રકાશ અગ્રવાલ જેવા લોકોએ ભારતીય જીવન અને પ્રકૃતિના સંરક્ષણ તથા માનવસેવા અને પ્રાણી સેવા માટે મહામૂલુ યોગદાન આપ્યું હતું એમ તેમણે ઉમેર્યું હતું.



