રાજસ્થાનમાં માર્ગ અકસ્માતોની ભયાનક શ્રેણી અટકી રહી નથી. ક્યારેક સ્લીપર બસમાં આગ, તો ક્યારેક સ્કૂલ વાન સાથે અથડામણ જેવી દર્દનાક ઘટનાઓ દર થોડા દિવસે પ્રકાશમાં આવી રહી છે. તાજેતરનો અકસ્માત જોધપુરના ફલોદી વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં બિકાનેરમાં કોલાયત દર્શનથી પરત ફરી રહેલા ભક્તોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર ભારત માલા એક્સપ્રેસ વે પર પાર્ક કરાયેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મંત્રી ઝબર સિંહ ખરાએ અકસ્માતમાં 15 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે સરકાર અસરગ્રસ્ત પરિવારોની સાથે છે.
રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ આ અકસ્માતને “અત્યંત દુ:ખદ અને હૃદયદ્રાવક” ગણાવ્યો અને જિલ્લા વહીવટીતંત્રને તમામ ઘાયલોને સારવાર અને પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો.



