જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બાઈક અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. જામનગર નજીક ઘુતારપર ગામના પાટીયા પાસે ગઈકાલે દશેરાના પર્વના મોડી સાંજે પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઈકના ચાલકોના મોત નીપજ્યા હતો, જયારે એક બાળકીને ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ કાબાભાઈ દોમડીયા (ઉ.વ.52) ગઈકાલે પોતાનું બાઈક લઈને પીઠડીયા ગામથી બજરંગપુર ગામ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન ખારાવેઢા ગામના પાટીયા પાસે સામેથી પુરફાટ ઝડપે આવી રહેલા અન્ય એક બાઇક સાથે ટકરાઈ જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જઆ અકસ્માતમાં એક બાઈકના ચાલક રમેશભાઈ કાબાભાઇ દોમડીયાને ગંભીર ઇજા થઈ હોવાથી તેનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે સામેથી આવી રહેલા બાઈકના ચાલક બિશનસિંગ શંકરભાઈ અજનાર કે જેને પણ ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સ્થળ પર મોત નીપજયું હતું, જ્યારે તેની સાથે બાઈકમાં બેઠેલી ચાર વર્ષની અન્ય એક બાળકીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અકસ્માતના બનાવ અંગે એક બાઈકના ચાલકના ભાઈ બજરંગપુરના ભરતભાઈ કાબાભાઈ દોમડીયાએ પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં અન્ય બાઇકના ચાલક બીશનસિંઘ અજનાર સામે અકસ્માત સર્જવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here