રાજ્ય સરકારે તાજેતરમાં શ્રમિકોના કામના કલાકોમાં વધારો કરવા અને મહિલા શ્રમિકોને રાત્રિ શિફ્ટમાં ફેક્ટરીઓમાં બોલાવવાની મંજૂરી આપવાની જોગવાઈ સાથેનો કાયદો અમલમાં મૂક્યો છે. તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન પસાર થયેલા આ કાયદાને લઈને મજૂર સંગઠનોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને ભારતીય મઝદૂર સંઘ (BMS)એ આ નિર્ણયને લાખો શ્રમિકોના હિત વિરુદ્ધ ગણાવીને સરકાર સામે સીધી ટક્કર લેવાનો ચીમકીભર્યો સંકેત આપ્યો છે.મજૂર સંઘોના આગેવાનોનું કહેવું છે કે, સરકારે આ મહત્વપૂર્ણ કાયદા પહેલા કોઈપણ પ્રકારની ચર્ચા કે મંત્રણા વિના સીધી જાહેરાત કરી દીધી છે. શ્રમિકોની જીવનશૈલી, આરોગ્ય અને સામાજિક જીવન પર સીધી અસર થતી એવી જોગવાઈઓ લાદવામાં આવી છે. મજૂર સંઘના પ્રવક્તા રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ ખાસ જણાવ્યું કે, “સરકાર સાથે બેઠક કરી અમારા વાંધા રજૂ કર્યા હતા, પરંતુ હજી સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. હવે આ મુદ્દે મૌન નથી ધારણ કરી શકાતું.”નોંધનીય છે કે, નવા કાયદાની મુખ્ય જોગવાઈઓમાં દિનદહાડે કામના કલાકો 8થી વધારીને 12 સુધી લઈ જવાની, તેમજ મહિલા શ્રમિકોને પણ રાત્રિ શિફ્ટમાં કામે બોલાવવાની વાત સામેલ છે. સંઘોના મતે આ જોગવાઈઓ ફેક્ટરી કાયદાનું ઉલ્લંઘન છે અને શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય તથા પારિવારિક જીવનને ખતરામાં મૂકે છે. ઉપરાંત મહિલા શ્રમિકો માટે રાત્રિ શિફ્ટ ફરજિયાત કરવાથી સલામતી સંબંધિત પ્રશ્નો પણ ઊભા થયા છે. જ્યારે રાજ્ય સરકારનું માનવું છે કે, આ નિર્ણયથી ઉદ્યોગોમાં વૈશ્વિક સ્પર્ધા સામે ટકી રહેવા માટે ઉત્પાદન ક્ષમતા વધારવી આવશ્યક છે, અને તે માટે નવા કાયદા અનિવાર્ય છે. પરંતુ મજૂર સંગઠનો આ દલીલને એકતરફી ગણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here