રૂપાલ ગામમાં પાંડવ કાળથી ચાલી આવતી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ જીવંત અને ભક્તિભાવથી ભરપૂર છે. દર વર્ષે આસો સુદ નોમના દિવસે યોજાતી આ પલ્લીના દર્શન માટે લાખો ભક્તો દેશ-વિદેશથી ઉમટે છે. આ પરંપરા માત્ર ધાર્મિક મહત્વ જ નહીં, પરંતુ સર્વધર્મ સમભાવ અને કોમી એકતાનું પ્રતીક પણ છે. પલ્લી એટલે માતાજીનો રથ, જેના પર પાંચ પાંડવોના પ્રતીક રૂપે જ્યોત પ્રગટે છે. આ રથ ગામના 27 ચોકમાંથી પસાર થાય છે, અને તેના પર લાખો લિટર ઘીનો અભિષેક થાય છે, જેનાથી ગામની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવો અનોખો નજારો સર્જાય છે.પલ્લીની શરૂઆત અને તેનું ઐતિહાસિક મહત્વ વરદાયિની માતાની પલ્લીની પરંપરા પાંડવોના સમયથી શરૂ થઈ હોવાનું મનાય છે. કહેવાય છે કે, પાંડવોએ સૌપ્રથમ સોનાની પલ્લી બનાવી હતી, અને ત્યારબાદ પાટણના રાજાએ ખીજડાના લાકડામાંથી પલ્લીનું નિર્માણ કર્યું હતું. આજે પણ રૂપાલ ગામના વિવિધ સમાજના લોકો એક થઈને આ પલ્લીનું નિર્માણ કરે છે. પલ્લીનું નિર્માણ એક સમગ્ર સમાજના સહયોગનું પ્રતીક છે, જેમાં દરેક સમુદાય પોતાની ભૂમિકા નિભાવે છે.વણકર ભાઈઓ ખીજડાનું લાકડું લાવે છે, સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે, વાળંદ ભાઈઓ વરખડાના સોટા બાંધે છે, અને કુંભાર ભાઈઓ કૂંડા તૈયાર કરે છે. મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ કૂંડામાં કપાસ ભરે છે, જ્યારે માળી ભાઈઓ ફૂલોથી પલ્લીને શણગારે છે. પંચાલ ભાઈઓ માતાજીના નિવેદ માટે સવા મણ ખીચડો તૈયાર કરે છે, અને ક્ષત્રિય ચાવડા ભાઈઓ ખુલ્લી તલવાર સાથે પલ્લીની રક્ષા કરે છે. પાટીદાર ભાઈઓ પૂજા-આરતી કરીને કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે, અને ત્રિવેદી ભાઈઓ પલ્લીની પૂજા કરે છે. આ રીતે, દરેક સમાજનું યોગદાન આ પરંપરાને વધુ ભવ્ય અને એકતાનું પ્રતીક બનાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here