પાલનપુરઃ વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના તમામ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં એક વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલો પાલનપુરનો એલિવેટેડ બ્રિજ પર ગાબડુ પડતા અને આ મુદ્દો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર દ્વારા તાબડતોબ બ્રિજનું મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. મરામતના કામ માટે બ્રિજની એક સાઇડથી બંધ કરી દેવાની ફરજ પડી હતી, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

પાલનપુર શહેરના RTO સર્કલ પાસે નેશનલ હાઈવે પર નવનિર્મિત એલિવેટેડ બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. બ્રિજના જોઈન્ટમાં ગાબડું પડી જતાં તાત્કાલિક એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. નોંધનીય છે કે, આ બ્રિજના નિર્માણ દરમિયાન ગડર પડી જવાના કારણે થયેલા એક ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. તે ઘટના બાદ થોડા સમય માટે બ્રિજ બંધ રાખીને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. હાલમાં ફરી ગાબડું પડતા કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટનાએ બ્રિજના નિર્માણમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

પાલનપુર શહેરના RTO સર્કલ પાસે નેશનલ હાઈવે પર નવનિર્મિત એલિવેટેડ બ્રિજના સ્લેબમાં પડેલી તિરાડના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. શરૂઆતમાં ચૂપચાપ રિપેરિંગ શરૂ કરાયું હતું પરંતુ, ફોટા વાઈરલ થતાં મામલો જાહેર થયો હતો. 17 મીટર ઊંચાઈ અને 1700 મીટર લાંબો આ બ્રિજ પાલનપુરને આબુ, અંબાજી અને અમદાવાદ સાથે જોડે છે અને તેને ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ગૌરવ ગણવામાં આવતું હતું પરંતુ, એક જ વર્ષમાં તિરાડ પડતાં બ્રિજની ડિઝાઇન અને નિર્માણની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. વરસાદ અને ભારે વાહનવ્યવહારને કારણે તિરાડ પડી હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here