સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કપાસનું મબલખ વાવેતર થયુ છે. આ વખતે સાનુકૂળ હવામાનને લીધે કપાસનો સારો પાક થશે એવી ખેડૂતોને આશા હતી. પણ છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયુ વાતાવરણ અને હવામાં ભેજનું પ્રમાણ વધતા કપાસનાં ઊભા પાકમાં ગુલાબી ઇયળ, ટપકાં વાળી ઇયળ અને લીલી ઇયળ ઉપદ્રવ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કપાસના દરેક છોડ પર ગુલાબી ઇયળ, ટપકાં વાળી ઇયળ અને લીલી ઇયળ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ખેડૂતો પોતાના મહામૂલા પાકને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ સૌથી વાવેતર થયુ છે. પરંતુ વરસાદી હવામાનને લીધે અગાઉ કપાસના પાકમાં  ચુસિયા જીવાતોનો ઉપદ્રવ હતો. અને  હાલ ભેજવાળા વાતાવરણ વચ્ચે કપાસનાં ઊભા પાકમાં ગુલાબી ઇયળ, ટપકાં વાળી ઇયળ અને લીલી ઇયળ ઉપદ્રવ વધતા ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઇ જવાનો ભય ઊભો થયો છે. આ વર્ષ ચોમાસુ સિઝનની ધમાકેદાર શરૂઆત થઇ હતી. બાદમાં ધીમે ધીમે વરસાદ સતત થતો રહ્યો છે. અત્યાર સુધીમાં 4379 મીમી એટલે સિઝનનો 73.36 ટકા વરસાદ થઇ ગયો છે. ત્યારે ખેડૂતોએ આ વર્ષ સારા વરસાદની આશાએ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5,07,250 કુલ હેક્ટરમાં વાવેતર થયું છે.જેમાં સૌથી વધુ 3,66,919 હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું છે. પરંતુ સતત વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેવા સાથે હાલ પાકને અસર થઇ રહી છે. ત્યારે કપાસમાં મહિનાની શરૂઆતમાં ચુસિયા જીવાતોનો ઉપદ્રવ શરૂ થયો હતો. ભેજવાળા વાતાવરણને લીધે  ઇયળનો ઉપદ્રવ વધ્યો છે.

જિલ્લાના કૃષિ નિષ્ણાતોએ  ખેડૂતોને સલાહ આપી છે કે, ગુલાબી ઇયળની મોજણી માટે નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ લગાડવા, લીંબોળીનો મીંજ 4%+ લીંબોળીનું તેલ 50 મીલી અથવા લીમડાયુક્ત દવાનો પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી 50-60 દિવસે છંટકાવ કરવો. ગુલાબી ઈયળના વ્યવસ્થાપન માટે ગોસીપ્લુર 4% આરટીયુ ટ્યુબનાં વટાણાં કદનાં ટપકાંઓ બે છોડની વચ્ચે 5 મીટરનાં અંતરે 45, 75 અને 105 દિવસે આપવી જોઈએ. ક્રાયસોપાને ખેતરમાં હેક્ટર દીઠ 10 હજાર ઈંડા અથવા પ્રથમ અવસ્થાની ઈયળોને 2થી 3 વખત છોડવાથી જીંડવાની ઇયળોનું નિયંત્રણ કરી શકાય. ગુલાબી ઇયળના જૈવિક નિયંત્રણ માટે સાવજ એમડીપી ટેક્નોલોજીની 400 ગ્રામ પેસ્ટ પ્રતિ હેક્ટર મુજબ 30 દિવસના અંતરે આપવું જોઈએ. વિષાણુંયુકત દ્રાવણ એચએનપીવી 450 અને એસએનપીવી 250 ઇયળ યુનિટ પ્રતિ હેક્ટરે છાંટવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here