અમદાવાદઃ ગુજરાતાના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધીને 131.02 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.27 મીટરનો વધારો નોંધાયો છે.
ગુજરાતની જીવાદારી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 131.02 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં વરસાદને લીધે જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં પણ વરસાદી માહોલને લીધે નર્મદા નદી પરના ઈન્દિરા સાગર ડેમની જળ સપાટી પણ વધી રહી છે. અને જો પાણી છોડાશે તો સરદાર સરોવર ડેમની જળસપાટીમાં હજુ પણ વધારો થશે. હાલ નર્મદા ડેમમાં હાલ 1,23,686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પાણીની આવકના કારણે ડેમની જળ સપાટી ઝડપથી વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
સરદાર સરોવર ડેમમાં પાણીની આવકને કારણે RBPH અને CHPHના પાવરહાઉસ ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. આ પાવરહાઉસ મારફતે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. હાલમાં, નર્મદા નદીમાં કુલ 55,969 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. જળસપાટીમાં વધારો થતા 31 જુલાઈથી 14 દિવસ માટે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી વધારાનું પાણી નદીમાં છોડી શકાય. ડેમની સપાટી જાળવી રાખવા અને સિંચાઈ તેમજ અન્ય જરૂરિયાતો માટે પાણીનો સંગ્રહ કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા. ડેમમાં નવા નીરની આવક થવાથી આગામી દિવસોમાં પણ જળ સપાટીમાં વધારો થવાની શક્યતા છે.