રાજસ્થાનમાં શાળાઓના વિલીનીકરણને લઈને રાજકીય ગરમાવો વચ્ચે, નાયબ મુખ્ય પ્રધાન ડૉ. પ્રેમચંદ બૈરવાએ કોંગ્રેસના આરોપોને ફગાવીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે શાળાઓને બંધ કરી નથી પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવ્યવસ્થિત અભ્યાસ સુનિશ્ચિત કરવા માટે તેમને મર્જ કર્યા છે.
ડૉ. બૈરવાએ જણાવ્યું હતું કે જે સરકારી શાળાઓ શૂન્ય નોંધણી ધરાવતી હતી અથવા જે એક જ કેમ્પસમાં કાર્યરત હતી, તેમને નવી શિક્ષણ નીતિ હેઠળ મર્જ કરવામાં આવી છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા અને સંસાધનોનો વધુ સારો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જો મર્જ કરાયેલી શાળાઓમાં નોંધણી વધશે, તો તે ફરીથી ખોલવામાં આવશે.
કોંગ્રેસ પર નિશાન સાધતા ડેપ્યુટી સીએમએ કહ્યું કે, તેમની સરકાર દરમિયાન સાધનો અને આયોજન વગર અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવી હતી, જ્યારે વર્તમાન સરકાર બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઈ રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ સરકાર દરમિયાન ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ક્રિયતાથી જનતા નારાજ હતી, તેથી ભાજપને ચૂંટવામાં આવ્યા હતા.