સુરેન્દ્રનગરઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા 300 જેટલા સફાઈ કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે. સફાઈ કર્મચારીઓ પગાર માટે મ્યુનિમાં રજુઆત કરી રહ્યા છે. પણ મ્યુનિના અધિકારીઓ સફાઈ કોન્ટ્રાક્ટર પાસેથી પગાર લેવાનું કહી રહ્યા છે. કોન્ટ્રાક્ટર ક્યારે પગાર કરાશે તે અંગે કોઈ જવાબ આપતા નથી. આથી સફાઈ કર્મચારીઓની હાલત કફાડી બની છે.

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઇઝ સફાઇ કામદારોને નિયમિત પગાર ચૂકવણી સહિતના વિવિધ લાભો મળતા નથી. જેને લઇ ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા કલેક્ટર કચેરી અને એસએમસીના અધિકારીઓને રજૂઆત કરી પગાર આપવા માંગ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, દૂધરેજ અને વઢાવણ સંયુક્ત પાલિકામાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝમાં અંદાજીત 300થી વધુ રોજમદાર સફાઇ કામદરો કામ કરી રહ્યા છે. જેમને આજદિન સુધી લઘુતમ વેતનનો અમલ કરવામાં આવ્યો નથી. ત્યારે આ અંગે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઇ પાટડીયા તથા સફાઇ કામદારોએ મ્યુનિ.કોર્પોરેશન તથા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ રોજમદાર સફાઇ કામદારોને જૂન 2025 અને જુલાઇ 2025ના મહિનાનો પગાર થયો નથી. મ્યુનિ.કોર્પોરેશન તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઇ કામદારોને નિયમિત ધોરણે પગાર આપવામાં આવતો નથી. તેની પ્રથમ દ્રષ્ટીએ સફાઇ કામદારોને નિયમિત પગાર આપવાની પ્રાથમિક જવાબદારી કોન્ટ્રાક્ટરની છે.

પગાર ચૂકવણીના નિયમ મુજબ પગાર 1 મહિનાથી વધુ સમય વધવો ન જોઇએ. તા. 1થી 10 સુધીમાં પગાર થઇ જવો જોઇએ.  મ્યુનિ.કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ બેઝ સફાઇ કામદારોને 2 મહિનાનો પગાર ચૂકવ્યો નથી. આ બાબતની ગંભીરતા લઇ 7 દિવસમાં તાત્કાલિક સમસ્યા દૂર કરવા માંગ કરીહતી. જો તેમ નહીં કરાય તો સફાઇ કામગીરી બંધ કરવાની ચીમકી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here