અમદાવાદઃ  શહેરના એસજી હાઈવે પર છારોડી નજીક આજે સવારે 10 વાગ્યે  સ્કૂલવાન પલટી ગઈ હતી. જોકે સ્કૂલવાનમાં 10 બાળકોનો બચાવ થયો હતો. એસજી હાઈવે પર છારોડી નજીક પાછળથી આવતી એક વર્ના કારે સ્કૂલવાનને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે વાનમાં સવાર કોઈ પણ બાળકને ગંભીર ઈજા થઈ નથી. આ બનાવમાં પોલીસે ખાનગી વાનના ચાલક સામે ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં સહિત બે અલગ-અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના એસજી હાઈવે પર  ખાનગી સ્કૂલના બાળકોને લઈને સ્કૂલ વાન સવારના સમયે શાળાએ જઈ રહી હતી. ત્યારે છારોડી પાસે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક વર્ના કારએ વાનને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલ વાન 10 બાળકો અને ડ્રાઇવર સાથે પલટી ખાઈ ગઈ હતી. બનાવ બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બાળકોને વાનમાંથી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ વાલીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  સ્કૂલ વાનના ડ્રાઇવર પાસે વાનમાં માત્ર 8 બાળકોને બેસાડવાની પરમિટ હતી, તેમ છતાં તેણે 10 બાળકોને વાનમાં બેસાડ્યા હતા. આ ઉપરાંત, વર્ના કારના ચાલકે પણ બેફામ રીતે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. A ડિવિઝન ટ્રાફિક પીઆઈ એન.એ. દેસાઈએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં વાલીઓ કે સ્કૂલ વાનનો ડ્રાઇવર કોઈ ફરિયાદ કરવા તૈયાર ન હોવાથી, પોલીસે પોતાની રીતે આ મામલે ફરિયાદ નોંધી છે. ડ્રાઇવરે નિયમનો ભંગ કર્યો હોવા બદલ અને વર્ના કારચાલકે બેફામ ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો હોવા બદલ બે અલગ-અલગ ગુના દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here