હિંમતનગરઃ સાબરકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. તાજેતરમાં પડેલા વરસાદને લીધે  હિંમતનગર-ખેડ તસિયા સ્ટેટ હાઈવે પર આવેલા ગોકુલનગર રેલવે ફાટક નજીક વરસાદી પાણીના નિકાલના અભાવે રોડ પર પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ડામર રોડને પણ નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

હિંમતનગરના ગોકૂલનગર નજીક સ્ટેટ હાઈવે પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. ગોકુલનગર રેલવે ફાટક પાસે રોડની બંને તરફ કોમ્પ્લેક્સ આવેલા હોવાથી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ચોમાસામાં સમગ્ર પાણી રોડ પર ભરાઈ જાય છે. આ વિસ્તારમાં કોમ્પ્લેક્સમાં દુકાનો ધરાવતા વેપારીઓના કહેવા મુજબ રોડ પર પાણી ભરાવાને કારણે ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી, જેનાથી વેપારને પણ મોટું નુકસાન થાય છે. આ ઉપરાંત, પાણી ભરાવાને કારણે રોડ પણ સતત તૂટી રહ્યો છે, જે વાહનચાલકો માટે જોખમી બની રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા અને સંબંધિત તંત્રને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા રજુઆત કરવામાં આવી છે.

હિંમતનગરના રોડ અને બિલ્ડિંગ  વિભાગના અધિકારીના કહેવા મુજબ  ખેડ તસિયા રોડ પર પાણી ભરાયાની રજુઆત મળી છે.  સ્થળ તપાસ બાદ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ રોડની બંને બાજુ કરવામાં આવેલું પુરાણ પણ દૂર કરવામાં આવશે. પાલિકાના સંકલનમાં રહીને વરસાદી પાણીના નિકાલની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here