સુરતઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારથી જ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો જેના કારણે જનજીવન પર અસર પડી હતી. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા તો મ્યુનિની કેટલીક શાળાની આસપાસ પણ ભરાયેલા પાણીનું તળાવ બની જતાં હાલાકી વધી હતી.

સુરતમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ સાથે જ મ્યુનિ.કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરી ખુલ્લી પડી ગઈ છે. મેયર સહિત મ્યુનિના પદાધિકારીઓએ શહેરમાં પાણી ન ભરાય તેવા દાવા કર્યા હતા પરંતુ સામાન્ય વરસાદમાં પણ આ દાવા પોકળ સાબિત થયાં છે. અને શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ પાણીનો ભરાવો થયો હતો  જેના કારણે નોકરી ધંધે જનારા લોકોની મુશ્કેલી વધી ગઈ હતી.  શહેરના ફુલપાડા વિસ્તારમાં પાણીના ભરાવાના કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી અને મ્યુનિની નબળી કામગીરીના પાપે સ્થાનિકો સાથે વાહન ચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત આ વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા બહાર જ વરસાદી પાણીનું તળાવ ભરાયું હતું જેના કારણે શાળામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે શિક્ષકોને પણ હાલાકી થઈ હતી.

આ ઉપરાંત ઉત્રાણ પોલીસ સ્ટેશન, તલાટી ઓફિસ, સરકારી શાળા અને આંગણવાડીની બહાર પણ પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં “દર વર્ષે આવી જ સમસ્યા થાય છે. પાણી ભરાવાના કારણે નાના બાળકો આંગણવાડી આવી શક્યા નથી, જેના પગલે તેમને રજા આપી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here