અમદાવાદમાં વર્ષોથી વસતા કાઠીયાવાડ જૈન સમાજના સંગઠન ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિરીશચંદ્રજી મ. સા.ની પ્રેરણાથી થયેલ શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. શ્રી ધીરગુરુદેવના અમદાવાદમાં ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજનાં અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદધાટન તા.૨૨, જૂન ૨૦૨૫ને રવિવારે યોજાશે. ગુરુદેવના બોપલ ખાતેના ચાર્તુમાસ દરમ્યાન અનેકવિધ સેવાકીય, મેડીકલ, જીવદયા, શૈક્ષણીક પ્રકલ્પોનું આયોજન કાઠિયાવાડ જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આ દરેક કાર્યક્રમ યુ-ટ્યુબમાં DHEER PRAVACHAN DHARA ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે.તાજેતરમાં અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતમાં માર્યા ગયેલા દેશ-વિદેશના નાગરિકો અને સિવિલ હોસ્પિટલની મેસમાં બપોરનું ભોજન લઈ રહેલા ડોકટરોને શ્રધ્ધાજંલિ અર્પણ કર્યા બાદ પરમશ્રદ્ધેય પૂ. શ્રી ધીરગુરુદેવે જણાવ્યું હતું કે, અત્યારે વિશ્વમાં અકલ્પનીય ઘટનાઓ બની રહી છે, આજે આપના માધ્યમ દ્વારા સૌને અનુરોધ કરુ છું કે વિશ્વશાંતિ માટે શક્ય એટલા મંત્રજાપ કરો. કારણકે મંત્રજાપ તમારી આંતરિક અને બાહ્ય શક્તિ જાગૃત કરવા માટેનું પ્રેરણાબળ છે. તા. ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ વિશ્વભરના લાખો સહભાગીઓ દ્વારા નવકાર મહામંત્રના સુમેળભર્યા જાપ કરવામાં આવ્યા હતાં. જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના સંબોધનમાં કરવામાં આવી હતી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આજે વિશ્વમાં સૌથી વધારે ૪૦ કરોડ જેટલા યુવાનો ભારતમાં છે. તેમને જો યુવા જાગૃતિના કાર્યક્રમોના માધ્યમથી વ્યસન મુક્ત કરવામાં આવે તો તેમની અકલ્પનીય વૈચારિક શક્તિઓના માધ્યમ દ્વારા સશક્ત અને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય. રાજનગર અમદાવાદમાં અમારુ પ્રથમ ચાતુર્માસ છે, જે દરમિયાન અનેકવિધ માનવસેવા, જીવદયા અને સમાજ ઉપયોગી પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, વ્યસનમુક્તિ, મહિલા સશક્તિકરણ, યુવા સશક્તિકરણ, કેળવણીલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.બોપલ – આમલી ક્રોસ રોડ ખાતે 970 વારના પ્લોટમાં નિર્માણ પામેલા 6 મંજિલામાં વીણાબેન ભૂપતલાલ ખેતાણી – ધર્મનાથ ઉપાશ્રય, લાભુબેન હિંમતલાલ કપાસી – ધર્મ સંકુલ, ધોળકીયા હસુમતીબેન પોપટલાલ – આયંબિલ ભવન , કુમુદબેન ન્યાલચંદ વોરા – મેડિકલ સેન્ટર તેમજ 2 વિશાળ બેંકવેટ હોલ, 9 Ac રૂમ સહિત અતિથિ ભવન અને ગ્રાઉન્ડ ફ્લોરમાં તારામતીબેન જોઈસર વૈયાવચ્ચ કેન્દ્રનો સમાવેશ થાય છે. જે સદગત મંત્રી મહેશભાઈ અંબાવી વગેરેની દીર્ઘ દ્રષ્ટિને આભારી છે.બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજનાં અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલમાં આવેલા મેડિકલ સેન્ટરમાં લગભગ તમામ પ્રકારની સેવાઓ જેમ કે, એકસ-રે મશીન, સોનોગ્રાફી, મેમોગ્રાફી, ફિઝિયોથેરાપી, ડેન્ટલ વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. આ મેડિકલ સેન્ટરનો કોઈપણ દર્દી નાત-જાતના ભેદભાવ વગર ખૂબ જ નજીવા દરે લાભ લઈ શકશે. કાઠીયાવાડ જૈન સમાજના મંત્રી મેહુલભાઈ ધોળકિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કમિટીના સુંદર સહયોગથી પ્રથમ વર્ષે ગોંડલ સંપ્રદાયના સુપ્રસિદ્ધ શય્યાદાન મહાદાનના પ્રેરક પૂ.શ્રી ધીરગુરુદેવનું ચાતુર્માસ પ્રાપ્ત થતાં અનેરો ધર્મોલ્લાસ છવાયો છે. જે ધર્મનાથ સ્થાનકવાસી જૈન સંઘનું સૌભાગ્ય છે. સમાજનું સમાજ ને અર્પણ કરવું તે જ સંતની સાચી સાધના છે. તેવું માનનારા ધીરગુરુદેવે 24 વર્ષની યુવાવયે પોતાના 80 વર્ષના પિતાશ્રી પ્રેમગુરુદેવ સાથે ઉપલેટામાં જૈન દીક્ષા અંગીકાર કરી હતી.પૂ.શ્રી ધીરગુરુદેવની દીર્ઘદ્રષ્ટિના કારણે ભારતભરમાં કોલકત્તા, ચેન્નઈ, બેંગ્લોર, જલગાંવ. પુના, ભરૂચ, વડોદરા, રાજકોટ, નડિયાદ, કાંદીવલી, ઘાટકોપર, વિલેપારલા, કાટકોલા, પોરબંદર, ઇન્દોર, લાલપુર વગેરે ગામોમાં ઉપાશ્રય, વિહારધામ, ગર્લ્સ હોસ્ટેલ, ગુજરાતી ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ, પાંજરાપોળ-ગૌશાળા, બહેરા-મુંગા શાળા, જૈન બોર્ડિંગ, મહાવીરભવન-હોલ વગેરે સંકુલના કરોડોના ખર્ચે નિર્માણ થયેલા છે.કાઠીયાવાડ જૈન સમાજના અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલના નિર્માણ સંયોજક અંશુલભાઈ ખેતાણીએ જણાવ્યું હતું કે પૂ.ધીરગુરુદેવ રાજકોટથી વિહાર કરીને બોપલમાં વકીલ સાહેબ બ્રિજ સામે, ધર્મ સંકુલ ધર્મનાથ ઉપાશ્રયમાં પધાર્યા છે. તા. 21 ને શનિવારે સવારે 9:00 થી 12:00 કલાકે મહારાજા અગ્રસેન હોલ, શેલા ખાતે ઉર્વેશભાઈ વોરાની અધ્યક્ષતામાં દાતા અભિવાદન સમારોહ યોજાશે. તા. 22 જૂન ૨૦૨૫ને રવિવારે સવારે 9:00 કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 9:30 કલાકે વિનુભાઈ કપાસીના પ્રમુખ પદે ડીઝીટલ ઉદઘાટન વિધિ અને ચાતુર્માસ પ્રવેશોત્સવ પ્રસંગે ગોપાલના પૂ.દીપમુનિ મ.સા. ગોંડલના પૂ.ગુણીજી મ.સ, પૂ.જ્યોતિજી મ.સ. આદિ, બોટાદના પૂ. સવિતાજી મ.સ.,પૂ.સુશીલાજી મ.સ.,અજરામરના પૂ.ભક્તિજી મ.સ.આદિ, ગોપાલના પૂ. પૂર્ણિતાજી મ.સ. આદિ તેમજ દિલ્હી, કલકત્તા, મુંબઈ, જલગાંવ, ચેન્નાઈ, એમ્બેવેલી, ઇન્દોર, પૂના, જામનગર, ગોંડલ, રાજકોટ, સુરત, બરોડા, ભરૂચ, વાપી વગેરે તથા રાજનગરના જૈન શ્રેષ્ઠીઓ, સંઘો ઉપસ્થિત રહેશે.અગોચરને ગોચર બનાવે એનું નામ સંત, શ્રેયને શ્વાસ બનાવે એનું નામ સંત, સમાધિને સહજ બનાવે તેનું નામ સંત, Sight…with Divine Shine ચાતુર્માસમાં પ્રવચનશ્રેણી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ – ધર્મનાથ જૈન સંઘના ઉપક્રમે વકીલ સાહેબ બ્રીજ પાસે, શિવાલિક સત્યમેવ પાછળ, અમદાવાદ ખાતે યોજાશે.સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા કાંતિલાલ કપાસી, દિનેશ ખેતાણી, અરવિંદ મહેતા, મેહુલ ધોળકિયા, ભરત મહેતા નિલેશ ટીંબડીયા વગેરે પદાધિકારીઓ તથા કમિટી, પ્રેમ- ધીર મહિલા મંડળ, યુવક મંડળ વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here