અમદાવાદઃ હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ કન્યા વંદન રહ્યું. આ કાર્યક્રમમાં પ.પૂ. મહામંડલેશ્વર કૃષ્ણમણી મહારાજ (જામનગર), ડૉ. વાગેશકુમારજી, કાંકરોલી (વાગેશબાવાજી), સુશ્રી ભાનુબેન બાબરીયા (રાજ્ય કક્ષા મંત્રી- મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય) તથા ડો. અમીબેન ઉપાધ્યાય ( VC, ડો. આંબેડકર યુનિવર્સિટી)ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
કન્યા વંદન કાર્યક્રમમાં યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા… શ્લોક સાથે કન્યા પૂજનની શરૂઆત કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનો દ્વારા મંચ પર દિવ્યાંગ કન્યાઓ સહિત અમદાવાદની વિવિધ સંસ્થાઓમાંથી આવેલ 1271 કન્યાઓનું પૂર્ણ શાસ્ત્રોક્તવિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. પરિવારમાં અને સમાજમાં કન્યાઓ અને નારીનું સન્માન વધે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પાસે માતા-પિતા અને ગુરૂઓનું સન્માન, પર્યાવરણની જાળવણી, પશુ-પક્ષીઓના રક્ષણ અને જાળવણી માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. HSSF સંસ્થાના સહસચિવ શ્રીમતી નીપાબેન શુક્લાએ મહેમાનો તથા પ્રબુદ્ધ નાગરિકોને સંસ્થાનો પરિચય આપ્યો.
મહામંડલેશ્વર કૃષ્ણમણીજી મહારાજએ આશીર્વાદ વચન આપતા કહ્યું કે HSSFને આવા ભવ્ય મેળાનું આયોજન કરવા બદલ ખૂબ અભિનંદન સાથે જણાવ્યું કે અન્ય સંપ્રદાયોમાં સેવાનો ધ્યેય સમાજમાં પ્રભુત્વ જમાવવાનો હોય શકે છે, સનાતન ધર્મમાં તો સેવાનો અર્થ ભિન્ન છે. હિંદુઓમાં હંમેશા સમર્પણનો ભાવ જોવા મળ્યો છે. તે માનવ માત્રમાં પણ ભગવાનનો અંશ શોધે છે અને તેના ઉત્થાન માટે નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરે છે. આવા પવિત્ર કાર્યને સનાતન ધર્મ સેવા માને છે. વધુમાં તેમણે વાત કરી કે આજનો સમાજ સુશિક્ષત તો છે પરંતુ તેમાં સંસ્કારોનો નાશ થતો જોવા મળે છે. જેનું કારણ ધર્મ જ્ઞાનનો અભાવ છે.