પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે, જેઓ દેશના વિદેશ પ્રધાન પણ છે, તેમણે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે EU પ્લેટફોર્મ પર ભાર મૂક્યો હતો કે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાથી “પ્રદેશની સ્થિરતા માટે વાસ્તવિક ખતરો” બની શકે છે. ઈશાક ડાર ઈયુ ઈન્ડો-પેસિફિક મિનિસ્ટરિયલ ફોરમ રાઉન્ડ ટેબલમાં બોલી રહ્યા હતા. આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી.

ઇશાક ડારે કહ્યું હતું કે “પાણી સહકારનો સ્ત્રોત રહેવો જોઈએ, રાજકારણ માટે હથિયાર તરીકે ઉપયોગ ન કરવો જોઈએ.” જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, તેમણે ભારત સાથે તણાવ ઘટાડવાના પ્રયાસો માટે EU ઉચ્ચ પ્રતિનિધિ સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારોની પ્રશંસા કરી. સિંધુ જળ સંધિ સિવાય ઇશાક ડારે આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, જ્યારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે અને કોઈપણ ત્રીજા પક્ષ દ્વારા હસ્તક્ષેપ સહન કરવામાં આવશે નહીં.

પાકિસ્તાનના ખેતી ક્ષેત્રમાં તબાહીનો ભય

સિડની સ્થિત નોન-પ્રોફિટ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ (IEP) દ્વારા ગયા મહિને 2025 ઇકોલોજીકલ થ્રેટ્સ રિપોર્ટમાં જણાવાયું હતું કે પાકિસ્તાન, જેની 80% ખેતી સિંધુ બેસિનના પાણી પર આધારિત છે, તે પાણીની અછતનું ગંભીર જોખમ ધરાવે છે કારણ કે ભારત સિંધુ નદીના પ્રવાહને ડાયવર્ટ કરી શકે છે. 1960ના કરાર હેઠળ, ભારત પાકિસ્તાન સાથે પશ્ચિમી નદીઓ, સિંધુ, ઝેલમ અને ચેનાબનું પાણી વહેંચવા માટે સંમત થયું હતું, જ્યારે તેણે બિયાસ, રાવી અને સતલજ સહિત પૂર્વી નદીઓ પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું. આ સમજૂતી હેઠળ નવી દિલ્હી પાણીના પ્રવાહને સંપૂર્ણપણે રોકી શકતી નથી અથવા ડાયવર્ટ કરી શકતી નથી, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેમની કામગીરીમાં નાના ફેરફારો પણ પાકિસ્તાની ખેડૂતો પર ગંભીર અસર કરી શકે છે.

રિપોર્ટમાં વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે પાકિસ્તાનની સંગ્રહ ક્ષમતા લગભગ 30 દિવસના નદીના પ્રવાહ સુધી મર્યાદિત છે, જે તેને મોસમી અછત માટે સંવેદનશીલ બનાવે છે. મે મહિનામાં, ભારતે ચેનાબ નદી પરના સલાલ અને બગલીહાર ડેમના જળાશયો ખાલી કર્યા. જેના કારણે પાકિસ્તાનમાં ચિનાબ નદીના કિનારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here