સુરેન્દ્રનગરઃ રાજ્યનો સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકમેળા માટેની આગોતરી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકમેળા માટે રસ્તા, પાર્કિંગ, NDRF ટીમ, બસ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, તળાવ અને મેળાના મેદાનની સફાઈ, સ્વચ્છતા, સ્ટેજ રીનોવેશન અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે જરૂરી સુચનાઓ આપી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળો આ વર્ષે 26થી 29 ઓગસ્ટ-2025 દરમિયાન યોજાશે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે સુપ્રસિદ્ધ તરણેતરના લોક મેળામાં લોકોને કોઈપણ અગવડતા ન પડે અને તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે માટે દરેક વિભાગના અધિકારીઓએ સાથે મળીને કાર્ય કરવાનું છે. કલેક્ટરે મેળાના આયોજન સંદર્ભે રસ્તા, પાર્કિંગ, NDRF ટીમ, બસ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, તળાવ અને મેળાના મેદાનની સફાઈ, સ્વચ્છતા, સ્ટેજ રીનોવેશન અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્પિક્સ, પશુ સ્પર્ધા, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વાગત વ્યવસ્થા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને સમગ્ર મેળા દરમિયાન વીજપુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરે તરણેતર ખાતે કુંડ અને તળાવ ફરતે તરવૈયા તૈનાત રાખવા જણાવ્યું હતું. તેમણે મેળામાં કોઈપણ પ્રકારના અકસ્માત ન થાય તેની તકેદારી રાખવા તમામ વિભાગોને તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક ડૉ. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર આર.કે. ઓઝા, તમામ પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.