અમદાવાદઃ આજે રાજ્યભરમાં ડો. બાબા સાહેબ આંબેડકર જ્યંતીની ઊજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સહિત શહેરોમાં ડો. બાબા સાહેબની પ્રતિમાને રાજકીય નેતાઓ અને સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. જ્યારે સાણંદ અને આસપાસનાં ગામોમાં સંવિધાનને હાથી પર બિરાજમાન કરીને ભવ્ય ‘સંવિધાન શોભાયાત્રા’ નીકળી હતી.
સાણંદમાં ડો. આંબેડકર જયંતીનો ભવ્ય માહોલ સર્જાયો હતો. ‘જય ભીમ’ના નારા સાથે લોકો બ્લૂ કલરના ઝંડા, બ્લૂ ટીશર્ટ પહેરીને લાઈવ ડીજે સાથે તાલ આપી રહ્યા હતા. સવારે 10 વાગ્યે ડો. બાબા સાહેબની પ્રતીમાને પુષ્પાંજલી અર્પીને શોભાયાત્રા સાણંદમાં ફરી હતી. આ રેલીનું પ્રસ્થાન થયું ત્યારે સર્વધર્મ સમભાવનો માહોલ જોવા મળ્યો હતો અને મુસ્લિમ સમુદાયના લોકો પણ રેલીમાં જોડાયા હતા. આ ‘ભીમોત્સવ’ કાર્યક્રમમાં સાણંદ તાલુકાના 68 ગામના હજારો લોકો જોડાયા હતા. બપોરે ભોજન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંત આંબેડકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભીમોત્સવ કાર્યક્રમમાં પહેલા ચરણમાં સવારે નવ વાગ્યે સ્વયં સેવકો અને આગેવાનો તથા સાણંદના શહેરીજનો આંબેડકર ચોક ખાતે ભેગા થયા હતા અને ‘જય ભીમ’ના નારા સાથે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આંબેડકર ચોકથી જ હાથી પર અંબાડીમાં બાબા સાહેબની તસવીર અને સંવિધાનની કોપી બિરાજમાન કરાયા હતા અને આ યાત્રા સવારે દસ વાગ્યે શરૂ થઈ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હાથમાં બ્લૂ કલરના જય ભીમ લખેલા ઝંડા લઈને ફરકાવતા હતા. આ રેલીમાં હાથીની પાછળ પાછળ બે બગી પણ જોડાઈ હતી.
ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે સાણંદમાં સવારે 8 વાગ્યે “ભીમોત્સવ” ઉજવણી શરૂ થઈ હતી. 10 વાગ્યે રેલી શરૂ થઈ હતી. ડો. બાબા સાહેબની જયંતીને લઈને સાણંદના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં તમામ મુખ્ય બિલ્ડિંગ પર ‘જય ભીમ’ના ઝંડા લગાવવામાં આવ્યા છે. સાથે મોટાં પોસ્ટર અને બેનરો પણ ઠેર ઠેર રસ્તે જોવા મળે છે.