રાજપીપળાઃ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમામાં ગઈકાલે સાંજના સમયે એક શ્રમિક દંપત્તી શેરડીના વાઢમાં ઘાસ કાપવાનું કામ કરી રહ્યા હતા. અને તેમના બે બાળકો ખેતરમાં રમતા હતા. ત્યારે જંગલી દીપડાએ શ્રમિક પરિવારની 9 વર્ષની બાળકી શ્રેયલ વસાવાને ઉઠાવી જઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતાં બાળકી બેભાનાવસ્થામાં મળી આવી હતી. અને તેને હોસ્પિટલ જઈ જવાતા તબીબોએ મૃત જાહેર કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, સાગબારાના કોલવાણ ગામના વિશાલભાઈ વસાવા અને તેમની પત્ની સ્મિતાબેન શેરડીના ખેતર પાસે ઘાસ કાપવા ગયાં હતાં. તેમની સાથે તેમની બે દીકરી 9 વર્ષીય શ્રેયલ અને 4 વર્ષીય પ્રાંજલ પણ હતી. માતા-પિતા કામમાં રોકાયેલાં હતાં ત્યારે સ્મિતાબેનની નજર સામે ઓચિંતા જ એક દીપડાએ શ્રેયલને ઉઠાવી લીધી અને શેરડીના શેડાપાડામાં ઘસડી ગયો હતો. જોકે શરૂઆતમાં સ્મિતાબેનને ખ્યાલ ન આવ્યો કે તે દીપડો જ છે અને તેમણે શંકા વ્યક્ત કરી કે કોઈ રાહદારીઓએ બાળકીને ઉઠાવી લીધી હશે, પરંતુ ગામમાં આ વાત ત્વરિત ફેલાતાં લોકો એકઠા થઇ ગયા હતા. ગામલોકોએ શેરડીના ખેતરમાં હિંમતભેર શોધખોળ શરૂ કરી. રાજુભાઈ ડિંગબરે લોહીનાં ડાઘ જોયા અને તેને અનુસરતાં અનુસરતાં આગળ વધ્યા તો શ્રેયલને બેભાન અવસ્થામાં શોધી કાઢી હતી. એ સમયે દીપડો પણ તેની નજીક જ હતો.
ત્યાર બાદ ગ્રામજનોએ દીપડાની નજીકથી બાળકીને ઉપાડીને તાત્કાલિક સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. કમનસીબે, દીપડાએ પહોંચાડેલા ગંભીર ઘાવને કારણે સારવાર દરમિયાન જ શ્રેયલનું મૃત્યુ થઈ ગયું હતું.
દીપડાના હુમલાથી બાળકીના કમકમાટીભર્યા મૃત્યુને લઇ ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. લોકોએ સાગબારા પોલીસ સ્ટેશન સામે રસ્તો રોકીને આંદોલન કર્યું હતું. વારંવારના આવા હુમલાઓ થવાથી લોકો જંગલ ખાતા પર તીવ્ર રોષ વરસાવી રહ્યા છે. લોકોનો આરોપ છે કે જંગલખાતું આ સમસ્યાનું સ્થાયી નિરાકરણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. આવા બનાવો બને ત્યારે તે માત્ર પાંજરા મૂકવા જેટલું જ કામ કરે છે.