અમદાવાદઃ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા આજે તા. 09 માર્ચ ,2025ના રોજ ઈપા ફાર્મ, શેરથા, ગાંધીનગર ખાતે સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતને શેરથા, ગાંધીનગર મુકામે સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવી છે, જે અનુસંધાને ગુજરાતના તમામ પ્રજાપતિ પરિવારજનો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સમાજ કેવી રીતે આગળ વધે એ માટે, હર હંમેશ સમાજના દરેક વ્યક્તિમાં સમાજ માટેની લાગણી હોય, સહયોગ હોય અને સમાજ કેવી રીતે આગળ વધે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરેતો ચોક્કસ પરિણામ સારું મળી શકે છે. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો હંમેશાં એક કાર્ય મંત્ર રહ્યો છે, “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ” આ કાર્યમંત્ર થકી આપણે સૌએ આગળ વધવાનું છે. વડાપ્રધાનના સંકલ્પ અને જન ભાગીદારીથી સમાજના દરેક વર્ગ, દરેક સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવા શિક્ષણ, આરોગ્ય, રોજગાર સર્જનની અનેક યોજનાઓનો સફળ અમલ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી હંમેશા કહે છે કે, શિક્ષણ સહિત વિકાસના કોઈપણ ક્ષેત્રમાં જ્યારે સરકાર સાથે સમાજ પણ આવા સત્કાર્યોમાં જોડાય છે, તો એ રાજ્ય અને દેશની વિકાસની ગતિ બમણી થતી હોય છે.
પ્રજાપતિ સમાજે શેરથામાં સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષના સંકુલ નિર્માણનો સંકલ્પ કરીને વડાપ્રધાનની આ વાત સાકાર કરી છે. પ્રધાનમંત્રીએ કન્યા શિક્ષણ અને ડેમોગ્રાફી ડિવિડન્ડ સમાન યુવા શક્તિને ઉચ્ચ શિક્ષણના ઉત્સવ અને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડી છે.
મુખ્યમંત્રી આ અવસરે પ્રજાપતિ સમાજને ઉલ્લેખિને જણાવ્યું હતું કે, પ્રજાપતિ સમાજ માટીને ઘાટ આપીને મૂલ્ય વર્ધન કરતો સમાજ છે, જે સમાજ માટીને ઘાટ આપીને એની કિંમત વધારી શકતો હોય તે સમાજ આપણા સમાજના જવાનોને જો ઘાટ આપશે તો એ સમાજનો કેટલો બધો ઉદ્ધાર થઈ શકે છે, ,આ માટે ફક્ત આપણે બધા સાથે મળીને જો કામ કરીશું તો સમાજની જે અપેક્ષા છે, એ અપેક્ષા માટે સરકાર હરહંમેશ સાથે છે. સમાજની આવનારી યુવા પેઢી સમય અનુકુળ ઘડતર માટે સામાજિક શૈક્ષણિક સંકુલ સંકલ્પ કર્યો તે સમગ્ર પ્રજાપતિ સમાજને વિકાસની નવી દિશા આપશે, એવો તેમણે ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.