આજે કથારંભ પૂર્વે શ્રી નીતિન ભાઈ વડગામા દ્વારા સંપાદિત બાપુની કથાની બે પુસ્તિકાઓ – અમદાવાદમાં ગવાયેલ “માનસ નવ જીવન” અને બરેલીની “માનસ અપરાધ” કથાનું લોકાર્પણ વ્યાસપીઠ પરથી કરવામાં આવ્યું. કથાનો પ્રારંભ કરતા મોરારીબાપુએ સૌપ્રથમ ગુજરાતની પુત્રી, ભારતની પુત્રી, પૃથ્વીની પુત્રી અને આવકાશની પુત્રી સુનિતા વિલિયમ્સ દ્વારા પત્રકારોને સંબોધીને લખાયેલો પત્ર વાંચ્યો. જેમાં સુનિતાજીએ લખ્યું છે કે” અવકાશમાં મૃત્યુની રાહ જોતી વખતે તેણે રામાયણ અને ભગવદ્ ગીતાનો પાઠ કરવાનું શરૂ કર્યું અને તેનાથી પોતાની શક્તિ વધી હોવાનો અનુભવ કર્યો. સુનિતાએ આગળ લખ્યું છે કે જ્યારે ઉલ્કા તેમના અવકાશયાન તરફ ધસી આવતી હતી અને યાન સાથે અથડાવાનો ભય રહેતો હતો, ત્યારે સુનિતાએ ભગવાનને પ્રાર્થના કરી અને અચાનક પ્રકાશના ગોળાઓએ આવીને ઉલ્કાઓનો નાશ કર્યો! સનાતન ધર્મ, ભગવત્ ગીતા અને રામાયણ – ત્રણેયમાં અપાર શક્તિ અને સામર્થ્ય છે. સુનિતાજીએ એ અનુભવ્યું તેથી તેઓ હવે અમેરિકન સરકારને વેદ વિદ્યાના સંશોધન માટે નાસામાં અલગ વિભાગ શરૂ કરવા વિનંતી કરશે. અંતે તેમણે “જય હિન્દુ, જય સનાતન
ધર્મ” લખીને પત્ર પૂરો કર્યો. બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે સદ્ગ્રંથ અને તેનો ઉપાસક ક્યારેય કોઈને તકલીફ આપતા નથી. બાપુએ કહ્યું કે આપણા સદ્ગ્રંથ આપણો સનાતન ધર્મ, આપણું રામાયણ, આપણી ગીતા કોઈને ડિસ્ટર્બ કરવા માટે નથી, પરંતુ દરેકને પ્રસન્નતા અને પ્રેરણા આપવા માટે છે. શાબ્દિક સાહસ તે જ બતાવી શકે, જેની પાસે સત્ય હોય. સત્ય વિના અભય નથી અને અભય વિના સાહસ નથી. બાપુએ શ્રોતાઓ પર પોતાનો સ્નેહ વરસાવતા કહ્યું કે – “ભગવાન કરે ‘ને કોઈ ક્યારેય તમારું હૃદય તોડે નહીં, પણ જો એવું થાય, તો આ “આનંદા યુનિવર્સિટી” માં આપનું સ્વાગત છે. કોઈ દરવાજા કે દિવાલ વગરની આ યુનિવર્સિટી છે. અહીં કોઈ ફી નથી, કોઈ પરીક્ષા નથી, કોઈ પ્રમાણપત્રની જરૂર નથી. પ્રેમ ક્યારેય પ્રતિબંધ લાદતો નથી, પ્રેમ તો ખુલ્લું આકાશ આપે છે. હું તમને મારી કથામાં બહુ સ્વતંત્રતા આપું છું, કારણ કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. આપણી આનંદા યુનિવર્સિટીના કુલપતિ વ્યાસપીઠ છે. આનંદા યુનિવર્સિટી એક હરતી ફરતી જંગમ યુનિવર્સિટી છે. રામાયણની પોથી જ અહીં સર્વસ્વ છે. બાપુએ શ્રોતાઓને આજે ​​એક અનોખી સંભળાવી. બ્રહ્માજીએ પાંચ પ્રજાઓનું સર્જન કર્યું. દેવ, દાનવ, પિતૃ, પશુ અને માનવ. આ ચારે પ્રજાએ બ્રહ્માજી પાસે પ્રકાશ અને ખોરાકની માગણી કરી. દેવતાઓને બ્રહ્માજીએ પ્રકાશ માટે સૂર્ય અને ખોરાક માટે યજ્ઞની વ્યવસ્થા કરી. પિતૃગણને તેમણે ચંદ્રનો પ્રકાશ અને પિતૃ તર્પણ અને પીંડદાનથી ખોરાક તેમ જ પીપળાના વૃક્ષને સંતાનો દ્વારા પવાતું પાણી આપ્યું. દાનવો માટે અંધકાર જ પ્રકાશ છે, તેથી તેમને પ્રકાશની જરૂર નથી. તેમના માટે અભક્ષ્ય ખોરાક અને દારૂ પીવાની વ્યવસ્થા થઇ. પ્રાણીઓ માટે માણસ જ પ્રકાશ છે. તેમને માટે કોઈપણના ખેતરમાંથી ખોરાક ખાવાનું નક્કી કરવામાં આવ્યું. અંતે, બ્રહ્માજીએ માણસને કહ્યું કે. “તમે વિશ્વનું સર્વોત્તમ સર્જન છો, તેથી વિવેક જ તમારા માટે પ્રકાશ છે. ફળ, મૂળ, કંદ, અન્ન અથવા હરિ નામનો આહાર તમારૂં ભોજન છે.” આ સંદર્ભમાં, પૂજ્ય બાપુએ વ્યાસપીઠ પરથી અપીલ કરી કે “જો તમે અભક્ષ્ય ભક્ષણ કરતા હો, તો રામકથા સાંભળ્યા પછી એવું ખાશો નહીં અને જો તમે પીવા યોગ્ય ન હોય એવું પીશો નહીં. આનંદા યુનિવર્સિટી વિશે વધુ જણાવતા બાપુએ કહ્યું કે વ્યાસ પીઠ એટલે કે રામચરિતમાનસનો ગ્રંથ “આનંદા યુનિવર્સિટી” ના કુલપતિ છે. કુલપતિ પાસે આઠ વૃત્તિઓ હોવી જોઈએ. પ્રથમ ગણેશ વૃત્તિ. કુલપતિમાં વિવેક હોવો જોઈએ. ગણેશ વૃત્તિ એટલે સ્થૈર્ય અને ધૈર્ય.બીજી છે ગૌરી વૃત્તિ. કુલપતિને તેના વિદ્યાર્થીઓ પ્રત્યે માતા જેવું જ વાત્સલ્ય હોવું જોઈએ. ગૌરી શ્રદ્ધા છે. કુલપતિ શ્રદ્ધાવાન હોવા જોઈએ. જ્ઞાન શ્રદ્ધાથી જ પ્રગટ થશે. ત્રીજી ગો વૃત્તિ – એટલે કે સરળતા, નમ્રતા, શાંતિ. દરેકને એમનામાં પોતીકાપણાનો અનુભવ થવો જોઈએ. અપમાન સહન કરીને ય જ્ઞાન આપવું, એ ગો વૃત્તિ છે. ચોથી છે ગિરા વૃત્તિ. સત્ય, પ્રિય અને મધુર વાણીને ગિરા વૃત્તિ કહે છે. વાણી મોહિત ન કરવી જોઈએ, તે વ્યક્તિને બંધન મુક્ત કરે એવી હોવી જોઈએ. કુલપતિ સરસ્વતી જેવા હોવા જોઈએ,જેનામાં ભજનની ધારા, સંગીતની ધારા અને શાસ્ત્રો હોવા જોઈએ. પાંચમી – ગંગ વૃત્તિ. કુલપતિ સંકુચિત મનના ન હોવા જોઈએ, તે ગંગાના પ્રવાહ જેવા હોવા જોઈએ, જ્ઞાન અને ઉપાસનાનો પ્રવાહ ગંગા વૃત્તિ છે.છઠ્ઠી ગોપાલ વૃત્તિ. ઇન્દ્રિયોને વિવેકથી સંયમિત રાખવી જોઈએ. આઠમી વૃત્તિ, ગ્રંથ વૃત્તિ છે. ગ્રંથિ મુક્ત મન ગ્રંથ વૃત્તિ છે. બાપુએ આનંદા યુનિવર્સિટીના છાત્રો માટે પણ ચાર વાતોવ કહી. ગીતાના ન્યાયે એમણે ચાર યજ્ઞ કરવા જોઈએ. એક, દ્રવ્ય યજ્ઞ. આપણી પાસે જે પણ ક્ષમતા છે, તેને કશી ય અપેક્ષા વિના બીજાને અર્પણ કરવી તે દ્રવ્ય યજ્ઞ છે. બીજું, તપ યજ્ઞ. દરેક ઘટનાને સહન કરવી. આપણે જે વિશેષતા પ્રાપ્ત કરી છે તેનો ઉપયોગ બીજાના લાભ માટે કરવો તે તપ યજ્ઞ છે. ત્રીજું, યોગ યજ્ઞ. કાર્ય કરવું પણ જે ફળ મળે તેનો સ્વીકાર કરવો એ યોગ યજ્ઞ છે. યોગ યજ્ઞ, મનની સમાનતાનું સૂચક છે. ચોથો યજ્ઞ સ્વાધ્યયનના રૂપમાં જ્ઞાન યજ્ઞ છે. વિદ્યાર્થીઓએ સતત સ્વાધ્યાય કરવો જોઈએ. સદ્ગ્રંથનું વાંચન, સતત હરિ નામનો જાપ પણ સ્વાધ્યાય છે. જ્ઞાનને સ્વાધ્યયનથી અલગ કરીએ , તો પાંચમો જ્ઞાન યજ્ઞ છે – એટલે કે આનંદા યુનિવર્સિટીનો છાત્ર જ્ઞાની વ્યક્તિ તરીકે બહાર આવે છે. બાપુએ સંગીતના સાત સ્વરોને આગવી રીતે રીતે વ્યાખ્યાયિત કર્યા. બાપુએ કહ્યું કે સંગીતના સાત સ્વરોમાં “સા” નો અર્થ થાય છે – જેને સ્પર્શ કરતાં જ સૂરનો સાગર ઉછળે છે. “રે” નો અર્થ થાય છે – રેતીમાં જગન્નાથ. “ગ” નો અર્થ છે – ગગનમાંથી સ્વરના પંખીડાઓ ઉડી આવે છે -આસમાનમાંથી ૐ કાર પ્રકટે છે. “ધ” નો અર્થ થાય છે પૃથ્વીનું ગદ્નિત – આનંદિત થવું, ફૂલો ખીલવા લાગે છે. ધ નો એક અર્થ ધર્મ છે – પોતાનો ધર્મ, સનાતન ધર્મ, વૈદિક ધર્મ, શાશ્વત ધર્મ. “પા” નો અર્થ છે પળપળ પરમાત્માનું સ્મરણ. “ની” નો અર્થ છે, જેનું ધ્યાન હંમેશા નીતિમય રહે છે – “ની” નો અર્થ છે- નીતિ ભ્રષ્ટ ન થવું. બાપુએ આજે ​​ચાર પ્રકારના લોકો વિશે વાત કરી. પહેલા પ્રકારના લોકો એવા છે જે કર્મ કરે છે પણ કૃપા મેળવી શકતા નથી. બીજા એવા છે, જે કર્મ નથી કરતા છતાં કૃપા મેળવે છે. ત્રીજા એવા છે, જે કર્મ કરે છે અને કૃપા પણ મેળવે છે. અને ચોથા એવા લોકો છે જે નથી કર્મ કરતા કે નથી કૃપા પણ મેળવી શકતા. કથાના ક્રમમાં પ્રવેશતા બાપુએ કહ્યું કે શિવજી પાર્વતીજીની જિજ્ઞાસાથી પ્રસન્ન થયા અને રામ કથામાં રઘુવિરનાં દિવ્ય સ્વરૂપનું ગાન શરૂ કર્યું. રામના અવતારનું કોઈ કારણ નથી, પરંતુ જ્યારે ધર્મની ગ્લાનિ – હાનિ થાય છે અને સજ્જનો પર આફત આવે છે, ત્યારે ભગવાનનુ પ્રાકટ્ય થાય છે. કાર્ય કારણથી પર હોવા છતાં, ભગવાન વિશ્વના કલ્યાણ માટે અવતાર લે છે. પૃથ્વી પર રાવણ અને કુંભકરણના અત્યાચાર અને ભ્રષ્ટાચાર વધી ગયા. બ્રહ્માજીના માર્ગદર્શન હેઠળ, દેવતાઓ અને ઋષિ મુનીઓએ ગાયના રૂપમાં રહેલી પૃથ્વી સાથે ભગવાનને પ્રાર્થના કરી. પૃથ્વીનો આર્તનાદ સાંભળીને, ભગવાને અયોધ્યામાં પ્રગટ થવાનું વચન આપ્યું. પરમાત્માની પહેલાં બધા દેવતાઓ ભગવાનના કાર્યમાં મદદ કરવા માટે વાંદરાઓના રૂપમાં પૃથ્વી પર આવ્યા. તે સમયે અયોધ્યામાં, મહારાજ દશરથજી, ગુરુ વશિષ્ઠજી પાસે ગયા અને પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. શ્રૃંગી ઋષિ દ્વારા પુત્ર કામેષ્ઠી યજ્ઞ થયો અને યજ્ઞ દેવ દ્વારા આપવામાં આવેલ પ્રસાદ ત્રણેય રાણીઓમાં વહેંચવામાં આવ્યો. યોગ, લગ્ન, ગ્રહ, વાર અને તિથિ અનુકૂળ થતાં જ માતા કૌશલ્યાના ગર્ભમાંથી ભગવાન રામનો જન્મ થયો. આ રીતે, આજે નાલંદાની આ ભૂમિ પર, બાપુએ રામ જન્મની વધાઈ સાથે વાણીને વિરામ આપ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here