સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) IPO શેરના બંધ અને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થાય તે પહેલાના દિવસોમાં ટ્રેડિંગને મંજૂરી આપવાનું વિચારી રહી છે. સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે મંગળવારે આ માહિતી આપી હતી.
હાલમાં IPO બંધ થવા અને શેરબજારમાં લિસ્ટિંગ વચ્ચે ત્રણ દિવસનું અંતર છે. જે દરમિયાન અનિયંત્રિત ધંધાકીય ગતિવિધિઓ થતી જોવા મળી રહી છે. જે સામાન્ય રીતે કર્બ ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. તેનો હેતુ એક નિયમનિત પ્લેટફોર્મ પ્રદાન કરીને આવા વેપારને સરળ બનાવવાનો છે જેથી રોકાણકારો નિયંત્રિત માળખામાં વેપાર કરી શકે. જે સુરક્ષિત વેપારને મંજૂરી આપે છે, અનૌપચારિક બજારો પર નિર્ભરતા ઘટાડે છે અને પારદર્શિતા વધારે છે.
મંગળવારે મુંબઈમાં એસોસિયેશન ઑફ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઑફ ઈન્ડિયા (AIBI) ની 13મી વાર્ષિક કોન્ફરન્સને સંબોધતા માધબી પુરી બુચે IPO બેન્કર્સની જવાબદારીઓ સમજાવી હતી. તેમણે કહ્યું કે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સને ખબર છે કે તેઓ ક્યારે કોઈ કંપનીને શેરબજારમાં પમ્પિંગ અને ડમ્પ કરી રહ્યા છે અને તેમને એ જણાવવાની જરૂર નથી કે આવા કેસમાં રેગ્યુલેટર શું પગલાં લે છે. IPO બેંકર્સ એ જાણવા માટે સક્ષમ છે કે IPO દ્વારા નાણાં એકત્ર કરતી કંપની વાસ્તવિક છે કે નકલી. આ સાથે માધબી પુરી બુચે IPO ડિસ્ક્લોઝરની પારદર્શિતા સુધારવા માટે ચાલી રહેલા પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે IPOની કિંમત સેબી નક્કી કરતી નથી. પરંતુ તે સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે રોકાણકારો પાસે મૂલ્યાંકન વાજબી છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે જરૂરી માહિતી છે.
નોંધનીય છે કે વર્ષ 2024 દરમિયાન ભારતના IPO માર્કેટમાં ઘણી વૃદ્ધિ જોવા મળી હતી. ગયા વર્ષે મોટી કંપનીઓના 91 IPO આવ્યા હતા. કંપનીઓએ IPO દ્વારા રેકોર્ડ રૂ. 1.6 લાખ કરોડ એકત્ર કર્યા હતા.