ગાંધીનગર, 19 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને બંદર વિકાસ માટે મુખ્યમંત્રીએ જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી છે.

આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાણી પુરવઠા બોર્ડ, જેટકો (JETCO), ગુજરાત પાવર કોર્પોરેશન અને મેરીટાઇમ બોર્ડ જેવા સંસ્થાનોને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ ૧,૨૨,૫૩,૦૯૬ ચો. મીટર જમીન ફાળવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાનો છે.

મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે તે સંસ્થાઓને ફાળવવામાં આવેલી આ જમીનો પર આગામી સમયમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ કાર્યરત થશે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાને મળશે. સૌથી વધુ ગુજરાત પાવર કોર્પોરેશનને બનાસકાંઠાના રાધાનેસડા ખાતે અંદાજે ૧,૨૦,૬૦,૦૦૦ ચો.મી. જેટલી વિશાળ જમીન ફાળવવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા બોર્ડને વિવિધ ૧૪ સ્થળોએ આશરે ૧,૩૬,૨૯૧ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. જ્યારે, જેટકો (JETCO)ને રાજ્યમાં વીજ માળખું મજબૂત કરવા માટે કુલ ૭ સ્થળોએ અંદાજે ૩૧,૦૧૦ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાત મેરીટાઇમ બોર્ડને પણ મહુવાના કતપર ખાતે બંદર વિકાસ માટે ૨૫,૭૯૫ ચો.મી. જમીનની ફાળવણી કરવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here