અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો. જેમાં અનેક રાજકીય મહાનુભાવો જોડાયા અને રાજકોટમાં માહોલ ગમગીન બન્યો છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.વિજય રૂપાણીના નિવાસ સ્થાને પણ મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા હતા. ગુજરાતનાં સાંસદો, ધારાસભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજકોટમાં અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા. વિજય રૂપાણીનો પાર્થિવ દેહ એરપોર્ટ પર નિવાસ સ્થાને લઈ જતાં સમયે રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ફૂલ વરસાવી પૂર્વ મુખ્યમંત્રીને અંતિમ વિદાય આપી હતી. પાર્થિવ દેહ શ્રી પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ ખાતે પહોંચ્યો ત્યાં પણ મોટી સંખ્યામાં પણ લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.આ દુર્ઘટનામાં 241 વિમાન મુસાફરો સહિત કુલ 278 લોકોના દુખદ નિધન થયા હતાં. ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન) 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ વિજય રૂપાણીના પાર્થિવ દેહને ચાર્ટર પ્લેન દ્વારા સિવિલથી રાજકોટ તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા હતાં.