સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણ વિસ્તારમાં ગેબનશાપીર સર્કલ પાસે રાતના સમયે પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે બેથી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા.આ બનાવ બાદ કારચાલક ભાગવા જતાં  લોકોના ટોળાએ કારચાલકને ઝડપી પાડી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી જે મામલે મોડી રાત્રે બી-ડિવીઝન પોલીસે અકસ્માત સર્જનારા કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, વઢવાણના ગેબનશાપીર સર્કલ પાસે રાતના સમયે પુરપાટ ઝડપે કારના ચાલકે કાર ચલાવી એક બાઈક સહિત બેથી ત્રણ અલગ-અલગ વાહનોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર એક બાળકી, મહિલા અને પુરૃષ સહિત ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે વાહન ચાલકો સહિત સ્થાનિકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા અને અકસ્માત સર્જનારા કાર ચાલકને ઝડપી લઈ મેથીપાક ચખાડયો હતો. બનાવ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી  પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલક વઢવાણના મેમકા ગામે રહેતો રણજીતભાઈ કાંતિલાલ મકવાણા હતો અને દારૂ પીધેલી હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. આ અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો તેમજ કારચાલકને બી-ડિવીઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવથી ભોગ બનનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો અકસ્માતને જોનાર પ્રત્યક્ષદર્શીઓ સહિત લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને કાર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. બી-ડિવીઝન પોલીસે અકસ્માતની ગંભીરતા નહીં દાખવી કાર ચાલક સામે માત્ર પીધેલાનો ગુનો દાખલ કરતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here