સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણના નવા 80 ફૂટ રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે.  ત્યારે બીજી બાજુ વરસાદી પાણી સોસાયટીઓ સુધી ફરી વળતાં સ્થાનિક રહિશોને પણ પારાવાર હાલાકી પડી રહી છે.  સ્થાનિક લોકોએ આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓને રજુઆત કરી છે.

સુરેન્દ્રનગરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં વઢવાણના નવા 80 ફૂટ રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં તેમજ મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. પાણીના નિકાલની મ્યુનિ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં ન આવી હોવાથી દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતા અનેક પરિવારો સહિત વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે નવા 80 ફૂટ રોડ પર વરસાદી પાણી મુખ્ય માર્ગ સહિત સોસાયટીઓમાં ભરાતા લોકોને મુશ્કેલી ભાગવી રહ્યા છે.

અગાઉ સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશોને અનેક વખત આ મામલે સ્થાનિકો સહિત આગેવાનોએ રજૂઆત કરી હતી છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતાં સમસ્યા જેમની તેમ છે. આ મામલે સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસતારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે પ્રથમ વરસાદમાં જ ફરી એજ પરિસ્થિતિ સર્જાતા મનપાના પ્રિ-મોનસુન કામગીરીની પોલ છતી થઈ છે અને માત્ર કાગળ પર જ પ્રિ-મોનસુન કામગીરી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here