સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી શહેરમાં ગત મોડી રાતે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા શહેરના ઘણાબધા વિસ્તારોમાં વીજળી પુવઠો ખોરવાયો હતો. શહેરની 20થી વધુ સોસાયટીમાં 18 કલાકથી વીજળી પુરવઠો પૂર્વવત ન થતાં  કાળઝાળ ગરમીમાં લોકો અકળાયા હતા. અને વીજ કચેરીએ ફોન કરવા છતાં કોઈ જવાબ મળતા ન હતો. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયરનો કાફલો દોડી ગયો હતો. અને આગને બુઝાવી દીધી હતી.

લીંબડીમાં આનંદપાર્ક સોસાયટીમાં નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં ગઈ મોડી રાતે અચાનક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી ગઈ હતી. વીજ ડીપીમાં આગના કારણે લીંબડી શહેરના અડધા વિસ્તારમાં 6 કલાક જ્યારે 20થી વધુ સોસાયટીઓમાં 18 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેમાં શહેરના આનંદપાર્ક, અવધપુરી, હરિઓમનગર, વૃંદાવન, શક્તિ, રામકૃષ્ણનગર સહિતની 20થી વધુ સોસાયટીઓમાં તેમજ આઝાદ ચોકથી રેલવે સ્ટેશન રોડ પર આવેલા તમામ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો ગરમીમાં બફાયા હતા.

લીંબડી શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પીજીવીસીએલ તંત્ર દ્વારા દરરોજ રાત્રીના સમયે બેથી ત્રણ કલાક સુધી અડઘો અડઘો કલાકે વીજ કાપ મુકી દેવામાં આવે છે. જેને કારણે નાના બાળકો, સિનિયર સિટીઝન તથા દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. જ્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ વોલ્ટેજ વધઘટ થતાં તથા વીજકાપના કારણે શહેરીજનો પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી. વીજ ફોલ્ટ અંગે ફરિયાદ નોંધાવવા માટેનો ફોન પણ બંધ આવતો હોવાનો ગ્રાહકો આક્ષેપ કરી રહ્યા છે. વહેલી તકે સમસ્યા ઉકેલવા માંગણી ઉઠી છે. (file photo)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here