અમદાવાદઃ શહેરમાં વિવિધ વિસ્તારોના તળાવોની જેમ લાંભા વિસ્તારના તળાવનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. પણ તળાવમાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનમાંથી ગટરનું પાણી આવતું હોવાથી તળાવ ગટરના પાણીથી ભરાયું છે. જેને લીધે તીવ્ર દૂર્ગંઘથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે. ઉપરાંત તળાવમાં લીલ જામી ગઈ હોવા છતાં તેની સાફ સફાઈ કરવા સહિતની દિશામાં મ્યુનિ દ્વારા કોઈ કામગીરી કરાતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. એટલે તાકિદે તળાવની સફાઈ કરવા સહિત ગટરના પાણી ઠાલવવાનું બંધ કરવા સ્થાનિકો લોકોએ માગ કરી છે.
લાંભા ગામના લોકોના કહેવા મુજબ લાંભાના તળાવની આસપાસના વિસ્તારની ગટરોના પાણી ફિલ્ટર કર્યા વિના જ નાંખવામાં આવે છે. એટલે વારંવાર તળાવમાં લીલ જામી જતી હોવાના લીધે દૂ્ર્ગંધથી લોકો ત્રાસી ગયા છે. ઈન્દિરા નગર એક અને બે, લક્ષ્મીપુરા ગામ, સુરતીપુરા, લાંભા મંદિર સહિત તળાવની આસપાસમાં આવેલી સોસાયટી અને વિસ્તારોમાં સતત દૂર્ગંઘ ફેલાતા લોકો કંટાળી ગયા છે. લોકોમાં ઘરોમાં પણ બેસી શકે તેવી સ્થિતિ નથી, ઉપરાંત સૌથી બળિયાદેવના મંદિરે મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને પણ દૂર્ગંધથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. નવી લાઈનમાં જોઈન્ટ મારીને તળાવમાં જતું ગટરનું પાણી બંધ કરી લીલની સફાઈ કરવાની લોકો માગ કરી રહ્યા છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ લાંભા ગામમાં રૂ.5 કરોડના ખર્ચે બનેલા તળાવમાં પાણીની આવક સામે પાણીની જાવકની યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે તળાવ વારંવાર ઓવરફલો થઈ રહ્યું છે. જેના કારણે ચાર વર્ષથી તળાવ તૈયાર હોવા છતાં તેનુ લોકાર્પણ કરાતું નથી. એટલે વિસ્તારના રહીશો ડેવલપ થયેલું તળાવ હોવા છતાં તેનો ઉપયોગ કરી શકતા નથી.