જ્યારે વૈશ્વિક સ્તરે ચીને સ્પેશિયાલિટી ફોસ્ફેટ ખાતરો પરના નિકાસ પ્રતિબંધને 2026 સુધી લંબાવ્યો છે, ત્યારે ભારત માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. નાગપુર ખાતે સોલ્યુબલ ફર્ટિલાઇઝર પાઇલટ પ્લાન્ટનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યો છે. આ પાઇલટ પ્લાન્ટનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુ એલ્યુમિનિયમ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ડિઝાઇન સેન્ટર ના ડિરેક્ટર ડૉ. અનુપમ અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પાઇલટ સુવિધા જવાહરલાલ નહેરુ એલ્યુમિનિયમ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ડિઝાઇન સેન્ટર દ્વારા ભંડોળ પૂરૂં પાડવામાં આવેલી સંશોધન યોજનાના અંતર્ગત નિર્ધારિત સમય કરતા આશરે એક મહિના પહેલાં પૂર્ણ કરવામાં આવી છે. આ સિદ્ધિ ભારતની વિશેષ અને મૂલ્યવર્ધિત ખાતરોના સ્વદેશી ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. આ પ્લાન્ટ દ્વારા તે તમામ મુખ્ય સોલ્યુબલ ફર્ટિલાઇઝર્સનું દેશભરમાં ઉત્પાદન શક્ય બનશે, જે અત્યાર સુધી આયાત પર આધારિત રહ્યા છે.
આગામી તબક્કામાં આ પાઇલટ પ્લાન્ટને વ્યાવસાયિક સ્તરે વિસ્તૃત કરવામાં આવશે, જેને દેશની અગ્રણી ખાતર ઉત્પાદક કંપનીઓ અપનાવવાની તૈયારીમાં છે. તેના પરિણામે આયાત પરની નિર્ભરતા ઘટશે તેમજ રોજગાર સર્જન, તકનિકી આત્મનિર્ભરતા અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડા જેવા લાભો પ્રાપ્ત થશે.
ખાણ મંત્રાલયના અધિનસ્ત નોડલ એજન્સી જવાહરલાલ નહેરુ એલ્યુમિનિયમ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ડિઝાઇન સેન્ટર મહત્વપૂર્ણ ખનિજો સહિત વિવિધ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સ્વદેશી સંશોધન અને વિકાસને સતત પ્રોત્સાહન આપી રહી છે. ઇશિતા ઇન્ટરનેશનલ દ્વારા વિકસાવવામાં આવેલી આ ગ્રીન ટેક્નોલોજી, જે વિશેષ સોલ્યુબલ ખાતરોના ઉત્પાદન માટે તૈયાર કરવામાં આવી છે, એપ્રિલ મહિનામાં જવાહરલાલ નહેરુ એલ્યુમિનિયમ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ડિઝાઇન સેન્ટરના સહયોગથી શરૂ કરવામાં આવી હતી અને રેકોર્ડ સમયમાં લેબોરેટરી સ્તરથી પાઇલટ સ્તર સુધી પહોંચી છે. આથી સાબિત થાય છે કે સંસ્થાકીય સહયોગથી દેશમાં સ્વદેશી ટેક્નોલોજીનો ઝડપી વિકાસ અને અસરકારક અમલીકરણ શક્ય છે.








