સુરત, 24 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા રાજસ્થાનના લોકો હોળી અને ધૂળેટીના તહેવારોમાં માદરે વતન જતા હોય છે. સુરતથી રાજસ્થાનના વિવિધ શહેરો માટે રોજ 300થી વધુ લકઝરી બસો મુકાતી હોય છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત પાસિંગની લકઝરી બસોને રાજસ્થાન આરટીઓ દ્વારા હેરાનગતી કરવામાં આવતા બસ ઓપરેટરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. જોકે  રાજસ્થાન આરટીઓ અને ગુજરાતી બસ ઓપરેટરોની લડાઈમાં પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતથી રાજસ્થાન તરફ જતા પ્રવાસીઓ ખાનગી બસ ઓપરેટરોની હડતાળથી મુશ્કેલીમાં મુકાયા છે. રાજસ્થાન પરિવહન વિભાગ (RTO) દ્વારા કરવામાં આવતી કથિત હેરાનગતિ અને મસમોટા દંડના વિરોધમાં સુરતના લક્ઝરી બસ સંચાલકોએ અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જેના પગલે સુરતથી રાજસ્થાન જતી 300થી વધુ બસોના પૈડા થંભી ગયા છે. બસ સંચાલકોના કહેવા મુજબ  છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન સરહદમાં પ્રવેશતાની સાથે જ RTO અધિકારીઓ દ્વારા ગુજરાત પાસિંગની બસોને અટકાવી બિનજરૂરી હેરાન કરવામાં આવે છે. સંચાલકોનો આક્ષેપ છે કે, નાની-નાની બાબતોમાં એક-એક લક્ઝરી બસ દીઠ 1 લાખ સુધીનો તોતિંગ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ગુજરાતની બોર્ડર છોડતાની સાથે જ રાજસ્થાન RTO દ્વારા માત્ર ગુજરાત પાર્સિંગની બસોને જ નિશાન બનાવવામાં આવતી હોવાનો સુરતના ઓપરેટરોએ ગંભીર આક્ષેપ કર્યો છે. મોંઘું ડીઝલ, મેન્ટેનન્સ અને ટેક્સ ભર્યા બાદ લાખો રૂપિયાનો દંડ ભરવો પરવડે તેમ ન હોવાથી સંચાલકોએ બસો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

બસ ઓપરેટરોની હડતાળના સમર્થનમાં સુરતના તમામ અગ્રણી ટ્રાવેલ્સ સંચાલકોએ પોતાની બસોના રૂટ રદ કર્યા છે. હાલમાં સુરત APMC માર્કેટની સામે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં સેંકડો લક્ઝરી બસો ઊભી રાખી દેવામાં આવી છે. સંચાલકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી રાજસ્થાન સરકાર અને RTO વિભાગ દ્વારા આ કનડગત બંધ કરવાની ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી એક પણ બસ રાજસ્થાન તરફ રવાના થશે નહીં. સુરતમાં વસતા લાખો રાજસ્થાની પરિવારો વતન જવા માટે ખાનગી લક્ઝરી બસો પર નિર્ભર હોય છે. અચાનક પડેલી આ હડતાળના કારણે હજારો મુસાફરો અટવાયા છે. ટિકિટ બુકિંગ કરાવી ચૂકેલા લોકોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. રેલવેમાં પણ વેઇટિંગ લિસ્ટ લાંબુ હોવાથી પ્રવાસીઓ પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here