રાજકોટઃ શહેર અને જિલ્લામાં છેલ્લા મહિનાઓથી રેશનિંગનો પુરવઠો રેશનના દુકાનદારોને સમયસર મળતો ન હોવાથી સસ્તા અનાજના દુકાનદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આથી જિલ્લાના રેશનના દુકાનદારો  કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પુરવઠા અધિકારીને મળ્યા હતા અને તેઓને સમસ્યા રજૂ કરી હતી. દુકાનદારોએ એવી રજુઆત કરી હતી કે,  સમયસર પુરવઠો નહિ મળવાથી અંદાજિત 50 હજાર રેશનકાર્ડધારકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

રાજકોટ શહેર ફેર પ્રાઈસ શોપ એસો.ના મહામંત્રી અને સભ્યોએ એવી રજુઆત કરી હતી કે, જૂન માસના રેશનિંગના પુરવઠાના વિતરણની મુદત લંબાવી 30 જૂન સુધી કરી આપવામાં આવે અને પૂરક પરમિટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. રાશનનો પુરવઠો સમયસર નહિ મળવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. લાભાર્થીઓ તો હેરાન થાય છે. અને રાશનના દુકાનદારોને પણ પુરવઠાનું કમિશન ગુમાવવું પડે છે. ગત મહિને પરિપત્ર કરીને મે અને જૂન માસના રેશનિંગના પુરવઠાનું વિતરણ મે માસમાં કરવાનું ઠરાવવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી સમયસર પુરવઠો નહિ મળતા મુશ્કેલી પડી રહી છે.. જેનો ભોગ રેશનિંગના દુકાનદારોને બનવું પડી રહ્યું છે. રેશનકાર્ડ ધારકોને રેશનિંગના પુરવઠાથી વંચિત રહેવું ન પડે તે માટે જૂન માસના પુરવઠા વિતરણની મુદત લંબાવવામાં આવે તેવી માગણી ઊઠી છે. 13 મે બાદ જે રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવેલ છે તેમને રેશનિંગનો પુરવઠો મળી રહે તે માટે દુકાનદારોને પૂરક પરમિટ આપવામાં આવે અને જૂન માસના રેશનિંગના પુરવઠાના વિતરણને લંબાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here