રાજકોટઃ શહેરમાં એક તબીબી દંપત્તીએ સસ્તુ સોનું લેવાની લાલચમાં રૂપિયા 5 લાખ ગુમાવ્યા હતા. તબીબને ત્યાં સારવારના બહાને મહિલા સહિત કેટલાક શખસો આવ્યા હતા, અને અમે ચોટિલા પાસે મજુરી કામ કરીએ છીએ. અને ખોદકામ દરમિયાન સોનાના દાગીના મળી આવ્યા છે. તેમ કહીને અસલી દાગીના બતાવીને વેચવાની વાત કરી હતી. તબીબ દંપત્તીએ રૂપિયા 5 લાખ આપીને એક કિલો સોનાના દાગીના લીધા હતા. ત્યારબાદ સોનાના દાગીનાની તપાસ કરતા નકલી દાગીના હોવાનું કહેતા ડોકટર દંપત્તીને છેતરાયાની જાણ થઈ હતી. દરમિયાન બદનામીના ડરથી તબીબ મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. અને તેની પોલીસ તપાસમાં આ હકિકત બહાર આવતા પોલીસે ફરિયાદ નોંધીને સસ્તુ સોનાના નામે નકલી દાગીના પધરાવતી ગેન્ગના ચાર શખસોને પકડી પાડ્યા છે. જેમની પાસેથી 2.85 લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર મહિલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં ડો.એન્જલ મોલીયાની આત્મહત્યામાં નિમિત્ત બનેલી ગેંગના ચાર સભ્યો ઈશ્વર ઉર્ફે પટિયો વિરાભાઈ વાઘેલા (ઉ.વ.30), અર્જુન પન્નાભાઈ સોલંકી (ઉ.વ.38), મોહન ઉર્ફે મયા ભગવાનભાઈ પરમાર (ઉ.વ.25) અને હિરા રામાભાઈ રાઠોડ (ઉ.વ.25)ને એલસીબી ઝોન-2ના સ્ટાફે ઝડપી લઈ રોકડા રૂ.2.15 લાખ, બે મોબાઈલ ફોન અને રિક્ષા મળી કુલ રૂ.2.85 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં હિરાબેન કસ્તુરભાઈ મારવાડી, કાનુબેન રામાભાઈ રાઠોડ અને પન્નીબેન અર્જુનભાઈ સોલંકી નામ ખુલતાં તેની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે તપાસમાં એવી હકિકત જાણવા મળી છે કે, આ ટોળકી વાંદરી ગેંગ તરીકે ઓળખાય છે. જેઓ હાઈ-વે પર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહી ખોદકામ કરતી વખતે જૂના ચાંદીના સિકકા અને સોનું મળ્યાનું જણાવી અસલી દાગીના બતાવી બાદમાં વેચાણ સમયે નકલી સોના જેવી દેખાતી ધાતુ આપી છેતરપિંડી કરવાની ટેવ ધરાવે છે. આ મુજબની મોડેસ ઓપરેન્ડીથી તેઓ 2017થી ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા હોવાનું પુછપરછમાં સામે આવ્યું છે. આ ટોળકીએ ચોટીલામાં આ રીતે રૂ.2.50 લાખની, પેડક રોડ પર પણ રૂ.2.50 લાખની, પારેવડી ચોક પાસે રૂ.12 લાખની અને ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે 50 હજારની છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી છે.

રાજકોટ શહેરમાં 27 વર્ષીય મહિલા તબીબના આપઘાત કેસમાં મૃતક એન્જલ મોલીયા તેમજ તેના પતિ ધવલ મોલીયા સાથે રમેશ તેમજ અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા 5 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં તેમને એક કિલો સોનાના દાગીના 5 લાખ રૂપિયામાં લેવા જતા તબીબ દંપતી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. ડો. ધવલના ક્લિનિક પર દવા લેવા આવેલા રમેશે દાગીના ખોદકામ દરમિયાન જમીનમાંથી નીકળ્યા હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ ચોટીલા ખાતે બોલાવી નકલી દાગીના આપી છેતરપિંડી આચરતા રમેશ સહિતના ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here