મોરબી, 23 ફેબ્રુઆરી 2026:  સામાન્ય વાતે હત્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે કારને ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો કરીને કારચાલક સોની યુવાનની હત્યા કરાતા સૌરાષ્ટ્રભરના સોની સમાજમાં પ્રત્યાઘાત પડ્યા છે. મોરબી-રાજકોટ હાઈવે પર ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં કારચાલક સોની યુવક જતીન રમેશભાઈ આડેસરાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેતા સમગ્ર મોરબી સહિત સૌરાષ્ટ્ર પંથકમાં તેના પડઘા પડ્યા છે. આજે સોમવારે આ હત્યાના વિરોધમાં સુવર્ણકાર સંઘે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માગણી કરી હતી.

આ બનાવની વિગત એવી હતી કે, રાજકોટ-મોરબી હાઈવે પર ગઈ તા. 18 ફેબ્રુઆરીને ગુરૂવારે મોરબીના સોની વેપારી જતીન રસિકભાઈ આડેસરા વાસ્તુનો પ્રસંગ હોવાથી કાર લઈને રાજકોટ રહેતા તેમના બહેનને તેડવા ગયા હતા. રાજકોટથી મોરબી તરફ પરત આવતા હતા.ત્યારે શનાળા રોડ પર સાઈડ આપવા જેવી સામાન્ય બાબત જતીનની અજાણ્યા યુવકો સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આવેશમાં આવી ગયેલા યુવાનોએ પોતાની કારનો કાચ નીચે ઉતારી સોની પરિવારની હાજરીમાં ગાળાગાળી કરી હતી. અને જતીનભાઈને કારમાંથી ખેંચી નીચે ઉતારી છરીના ઘા મારી દીધા હતા. 15 મિનિટ સુધી જતીનભાઈ તરફડિયાં માર્યા બાદ પરિવારજનો સામે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. સૌથી આઘાતજનક વાત છે કે હવે તેમની 11 માસની માસૂમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

મૃતકના ભાઈ મૌલિકએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સક્રિય થયેલી પોલીસે જતીન સોનીની હત્યા કેસના આરોપમાં બે યુવકની ધરપકડ  કરી હતી. જે સગીર હોવાનું ખૂલ્યું હતું. બન્ને આરોપીઓમાં એકની ઉંમર 17 વર્ષ 5 મહિના તો બીજાની ઉંમર 18 વર્ષમાં 7 દિવસ જ ઓછી છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમના ઘરે પણ દરોડા પાડયા હતા. જેમાં યુવકોના ઘરેથી 22 નંગ બીયરના ટીનનો જથ્થો પણ મળી આવ્યો હતો.

 અમરેલી જિલ્લા સુવર્ણકાર સંઘે જતીન રસિકભાઈ આડેસરાના પરિવાર સાથે ઉભા રહીને શોક વ્યક્ત કર્યો છે અને એક સૂરે કહ્યું છે કે, મોરબી રાજકોટ હાઈવે પર તારીખ 18 ફેબ્રુઆરીના રોજ અમારા સમાજના યુવકની ઓવરટેક જેવી સામાન્ય બાબતે હત્યા કરી છે, કાયદો વ્યવસ્થા ખોરવનારા અને ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને આકરી સજા થવી જોઈએ. આ સાથે સુવર્ણકાર સંઘે ટ્રાફિક નિયમોનું સમાન રીતે પાલન કરાવવા કડક હાથે પોલીસ પગલાં લે તેવી પણ માગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here