સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કિમતી ખનીજ ધરબાયેલુ હોવાથી પરવાનગી વિના ખનીજચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે ચોટિલાના પ્રાંત અધિકારી ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. દરમિયાન  મુળી તાલુકાના ઉમરડા ગામમાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર મૂળીની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા. સરકારી સર્વે 1185 અને ખાનગી સર્વે નંબર 778 વાળી જમીનમાં તપાસ દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલના 15 કુવા, સાત ચરખી અને લગભગ 300 ટન કાર્બોસેલ મળી આવતા કુલ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વહિવટી તંત્રના દરોડાથી ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મુળી તાલુકાના ઉમરડા ગામની સીમમાં રાતના સમયે ચોટિલાના પ્રાંત અધિકારી મકવાણા અને મુળીના મામલતદાર સહિતના અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સરકારી સર્વે 1185 અને ખાનગી સર્વે નંબર 778 વાળી જમીનમાં તપાસ દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલના 15 કુવા, સાત ચરખી અને લગભગ 300 ટન કાર્બોસેલ મળી આવતા કુલ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન રાતભર ચાલેલી ઝુંબેશમાં સ્થળ પરથી 200થી વધુ પરપ્રાંતીય મજૂરોને સમજાવીને તેમના વતન મોકલી દેવામાં આવ્યા છે. ખાનગી સર્વે નંબર 778ની જમીનના કબજેદારોમાં કાળુભાઈ લાલજીભાઈ જાડા, બાલુબેન લાલજીભાઈ જાડા, મરઘાબેન લાલજીભાઈ જાડા અને સવિતાબેન લાલજીભાઈ જાડાનો સમાવેશ થાય છે.

ગુજરાત મિનરલ રૂલ્સ 2017ના નિયમ 21(3) મુજબ આ વ્યક્તિઓ પાસેથી દંડની રકમ વસૂલ કરવામાં આવશે. જપ્ત કરાયેલો મુદ્દામાલ મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વધુમાં, સર્વે નંબર 781 અને 782ના કબજેદારો ધીરુભાઈ પોપટભાઈ અને રતુભાઈ પોપટભાઈ સામે પણ ગેરકાયદે ખનન બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અન્ય ખાનગી જમીનોની તપાસ ચાલુ છે અને જેમની સામે પુરાવા મળશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here