મોરબીઃ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે માળિયા-જામનગર હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. માળિયા જામનગર હાઇવે પર આવેલા આમરણ ખારચિયા ગામ નજીક મંગળવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક પુરઝડપે જતી એક કાર રોડની સાઈડમાં પાર્ક કરેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈને નીચે ઘૂસી ગઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ પણ આગળ ખસી ગઇ હતી અને કારનો કડુસલો બોલી ગયો હતો. આ ઘટનામાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. કારમાં સવાર પ્રવાસી આંધ્રપ્રદેશના વતની હોવાનું અને તીર્થાટન પર નીકળ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મોરબી જિલ્લાના માળિયા જામનગર કોસ્ટલ હાઈવે પર આવેલા ખારચિયા ગામ પાસે મંગળવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ એસટી બસ હોટેલ પાસે પાર્ક કરી હતી તે દરમિયાન પાછળથી જીજે 39 ટી 7361 નંબરની કાર પુરઝડપે ધસી આવી હતી અને સીધી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર બન્ને શખ્સના ગંભીર ઇજાના પગલે કમકમાટી ભર્યા મોત થયા હતા. બનાવ બાદ બન્નેને પીએમ અર્થે મોરબી સિવિલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ અકસ્માતમા ભોગ બનેલામાં એકનું નામ રામાનુજ ચારુલુ જેની ઉમર અંદાજીત 53 વર્ષ જયારે બીજા મૃતકનું નામ કાસ્યારામ ઉમર 67 હોવાનું જાણવા મળ્યું છે. બન્ને આંધ્રપ્રદેશના વતની હોવાનું અને ધાર્મિક યાત્રામાં નીકળ્યા હોવાનું અને દ્વારકા તરફ જતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલકને ઝોકું આવી જતા બનાવ બન્યો હોવાની આશંકા છે. જો કે વધુ વિગત તો તપાસ બાદ સામે આવશે