ગાંધીનગરઃ તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર સંગમ સ્નાન કરવા જતાં ગુજરાતી યાત્રિકોએ ગુજરાત પ્રવાસન નિગમની વિવિધ સુવિધાઓનો મહત્તમ લાભ ઉઠાવ્યો છે. યાત્રાળુંઓ માટે અહીં ઉભી કરવામાં આવેલી રહેવાની સુવિધાનો 2235 લોકોએ લાભ લીધો છે. આટલા ગુજરાતી યાત્રિકોએ અહીં ઉતારો મેળવ્યો હતો.
મહાકુંભમાં સેક્ટર – 6માં નાગવાસુકી મંદિરથી નજીક ભારદ્વાજ માર્ગ ઉપર 33000 ચોરસ ફૂટ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવી છે. અહીં ગુજરાત પેવેલિયન, હેલ્પ ડેસ્ક, ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ સ્ટોલ તથા ડોરમેટરીની સુવિધા ઉભી કરવામાં આવી છે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતનાં વિવિધ પ્રવાસન સ્થળોની માહિતી મહાકુંભમાં આવતા યાત્રિકોને મળી રહે તે હેતુ ધાર્મિક પ્રવાસન, હેરીટેજ પ્રવાસન તથા રાષ્ટ્રીય સિંહ અભયારણ્ય જેવા વિવિધ પ્રવાસન સ્થળોની ઝાંખી રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શનની અત્યાર સુધીમાં 69,192 લોકોએ મુલાકાત લીધી છે. ફ્રાન્સ, યુકે, જર્મની, અમેરિકા, ઇટલી જેવા દેશોના નાગરિકોએ પણ ગુજરાતનું થીમ પેવેલિયન નિહાળ્યું છે.
મજાની વાત તો એ છે કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ચોવીસ કલાક માહિતી આપતા હેલ્પ ડેસ્ક માર્ગદર્શકની ભૂમિકા અદા કરી રહ્યો છે. અત્યાર સુધીમાં 21619 યાત્રિકોએ હેલ્પ ડેસ્ક નંબર 1800-180-5600 ઉપર ફોન કરી વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન મેળવ્યું છે.