અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026 – Several BJP leaders join Congress આજરોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના મજબૂત ઓબીસી તથા ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી ભારતસિંહ પરમાર આજે ઔપચારિક રીતે ભાજપ છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા. આ પ્રસંગે મધ્ય ગુજરાતના મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે અમિત ચાવડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા થોડા સમયથી ભારતીય જનતા પાર્ટીમાંથી કાર્યકરો અને આગેવાનો સતત કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. વર્ષો સુધી જાહેર જીવનમાં રહી લોકો માટે કાર્ય કરનાર નેતાઓ આજે ફરી કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકી જોડાઈ રહ્યા છે. તેમણે શ્રી ભારતસિંહભાઈ પરમારના જાહેર જીવનના લાંબા અને અનુભવી કાર્યકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ કાર્યકરથી લઈ સંગઠનના મહત્વપૂર્ણ પદો સુધી સક્રિય રહ્યા છે. સહકારી ક્ષેત્ર હોય, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ હોય કે તાલુકા પંચાયત, દરેક ક્ષેત્રમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી છે. વર્ષ 2017માં મહુધા વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી લડી અને થોડો સમય ભાજપમાં સક્રિય રહ્યા, પરંતુ મૂળ વિચારધારાની પ્રેરણાથી આજે ફરી કોંગ્રેસમાં જોડાયા છે.

શ્રી અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે જે લોકો ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવાની ભાવના સાથે જાહેર જીવનમાં આવે છે, તેઓને ભાજપમાં કામ કરતી વખતે ઘણીવાર મર્યાદાઓનો સામનો કરવો પડે છે. એવા ઘણા આગેવાનોને ત્યાં ગૂંગળામણ અનુભવાય છે અને તેમના વિચારોને યોગ્ય સ્થાન મળતું નથી. ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં લોકો ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, જે જનમાનસમાં ઊભરતી અસંતોષની લાગણી દર્શાવે છે. લોકોમાં હવે એવી ભાવના મજબૂત બની રહી છે કે સરકાર સામાન્ય અને ગરીબ વર્ગના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ નથી.

તેમણે ગરીબોના મકાનો પર બુલડોઝર ચલાવવાના બનાવો અને સહકારી ક્ષેત્રમાં વધતા ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ જ યોગ્ય મંચ છે. ભારતસિંહભાઈ પરમારે પણ પોતાના સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું કે વર્ષો પહેલા જે મૂલ્યો અને વિચારધારાથી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા, તે જ ભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ફરી કોંગ્રેસ પરિવારનો ભાગ બન્યા છે. ગરીબો, ખેડૂતો અને સામાન્ય લોકો માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતા અવિચળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here