ભાવનગરઃ  જિલ્લામાં આ વખતે ધોધમાર વરસાદ પડ્યા બાદ છેલ્લા બે દિવસથી વરાપ નિકળતા ખેડૂતોએ વાવણી કાર્યનો પ્રારંભ કર્યો છે.  જિલ્લામાં 19 જૂન સુધીમાં 97,718 હેકટર જમીનમાં વાવતરનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. જેમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ કપાસ અને મગફળીનું વાવેતર મુખ્ય છે. જિલ્લામાં ખરીફ વાવતેરમાં 45,339 હેક્ટરમાં કપાસ અને 43,973 હેક્ટરમાં મગફળીનું વાવેતર કાર્ય પૂર્ણ થઇ ગયું છે. દર વર્ષે જિલ્લામાં કપાસ અને મગફળી ઉપરાંત મગ,મઠ, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લીધો છે. વાતાવરણ ચોખ્ખું થતાં ખેડૂતોએ વાવણીની કામગીરી શરૂ કરી છે. તાલુકામાં ખેડૂતો મગફળી સહિત વિવિધ પાકોનું વાવેતર કરી રહ્યા છે. સૂર્યનારાયણના તડકા સાથે વરાપ નીકળતા ખેડૂતો પોતાના ખેતરોમાં વાવણી કરતા જોવા મળી રહ્યા છે. ચોમાસાની શરૂઆતથી જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

ભાવનગર જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં પ્રથમ વરસાદ સારો નોંધાયો છે. બેથી ત્રણ દિવસ સુધી સારો વરસાદ પડ્યા બાદ હવે વરસાદે વિરામ લીધો છે. આ તકનો લાભ લઈને ખેડૂતોએ વાવણીની કામગીરી શરૂ કરી દીધી છે. પ્રથમ વરસાદ વાવણી લાયક થતાં ‌જ‌ ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર શરૂ કર્યું છે. જિલ્લામાં તા.19મી જૂન,2025 સુધીમાં 97,718 હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 45,339 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવ્યું છે.

આમ, ભાવનગર જિલ્લામાં 907 હેકટર જમીનમાં બાજરીનું વાવેતર કાર્ય થયુ, ઉપરાંત 07 હેક્ટરમાં મકાઇ, 38 હેક્ટરમાં તુવેર, 70 હેક્ટરમાં મગ,02 હેક્ટર મઠ, 28 હેક્ટર અડદ, 43,973 હેક્ટરમાં મગફળી, 47 હેક્ટરમાં તલ, 05 હેક્ટરમાં સોયાબીન, 45,339 હેક્ટર કપાસ, 1,266 હેક્ટરમાં શાકભાજી અને 6,036 હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ મળીને 97,718 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here