ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલા ચાર રાષ્ટ્રીય ઉદ્યાન પૈકીનું એક ઉદ્યાન એટલે ભાવનગર શહેરથી 52 કિલોમીટર દૂર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર રાજ્યનું આગવું નજરાણું છે. આ ઉદ્યાનમાં કાળીયાર સિવાય વરુ, ઝરખ, નીલગાય તેમજ અહીંના વેટલેન્ડમાં દેશ વિદેશના વિવિધ જાતના પક્ષીઓ જોવા મળે છે. પ્રકૃતિપ્રેમીઓ માટે કાળીયાર ઉદ્યાન સ્વર્ગ સમાન છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ૫ હજાર કાળીયાર મુક્ત રીતે વિચરી રહ્યા છે.

આ રાષ્ટ્રીય ઉદ્યાન તેની ઘાંસીયા ભૂમિ અને  સ્થાનિક વૃક્ષોથી રચાયેલી વસાહત,  કાળીયાર, નીલગાય, ભારતીય વરૂ, ઝરખ, શિયાળ, લોંકડી જેવા પ્રાણીઓ અને ખડમોર (લેસર ફલોટીકન) અને પટ્ટાઇઓ (હેરીયર્સ) જેવા યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન આશ્રયસ્થાન છે. આ સમગ્ર વિસ્તારને “ભાલ” તરીકે ઓળખવામાં આવે છે. આ ભાલ વિસ્તારને કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવેલુ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન 34.53  ચો. કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. સમતળ જમીન, સુકુ ઘાસ અને  હરણોના ટોળાંઓ હંમેશા આ પાર્કમાં મુલાકાતીઓને આકર્ષિત કરે છે. જેમાં એક અનન્ય ઘાસવાળી  ઇકોસિસ્ટમ છે.

ભાવનગર જિલ્લાના વેળાવદરમાં જોવા મળતા કાળીયાર “Antelope cervicapra rajputanae ( વૈજ્ઞાનિક નામ)” તરીકે ઓળખાય છે, જે ભારતમાં અન્ય રાજયમાં જોવા મળતા કાળીયારો કરતાં અલગ દેહલાલીત્ય ધરાવે છે. તે ટોળામાં રહે છે અને પ્રતિ કલાક 80 કિ.મી. ની ઝડપે લાંબા અંતર સુધી દોડી શકતું એકમાત્ર પ્રાણી ચિત્તો છે, પરંતુ તે ટુંકા અંતર માટે વધુ ઝડપથી દોડી શકે છે. જ્યારે કાળીયાર તેની પૂર્ણ ક્ષમતાએ દોડે ત્યારે તેની બે ખરીની છાપ વચ્ચેનું મહત્તમ અંતર 6.60 મી. જોવા મળે છે. જ્યારે લેસર ફલોરીકન પક્ષી બસ્ટાર્ડ કૂળનું દુર્લભપક્ષી છે, જેને ખડમોર તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે ચોમાસાના વાદળો ઘેરાય ત્યારબાદ આ પક્ષીઓનું આગમન થાય છે અને નર પક્ષી પોતાની હદ નક્કી કરી માદાને પોતાની તરફ આકર્ષવા 1.5  થી2.0 મી. ઉંચો ફૂદકો મારે છે અને ટરરરુ જેવો અવાજ કરે છે. આ પક્ષી સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. માદા જમીન પર માળો બાંધી તેમાં ત્રણથી ચાર ઈંડા મુકે છે અને બચ્ચાનો ઉછેર કરે છે. તેની સંવનન સિવાયની ૠતુમાં તે કયાં વસે છે, તેના ઉપર સંશોધન થઈ રહ્યાં છે. પ્રવાસીઓ માટે આ સમય દરમ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન બંધ રહેવાથી આ પક્ષીઓને નિહાળી શકાતા નથી.

અત્રે નોંધનીય છે કે, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવતા સહેલાણીઓ માટે અહીં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. કાળીયાર નેશનલ પાર્કમાં જવા માટે સહેલાણીઓ ટીકીટ મેળવી પ્રવેશ મેળવી શકે છે. જેના ભાવ પણ બીજા નેશનલ પાર્ક કરતા ખુબ જ ઓછા છે. અહીં જોવા આવતા લોકો માટે ૧૫ જેટલી  ગાડીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને સાથે ૨૨ જેટલાં ગાઈડની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીંનો પ્રાકૃતિક વેટલેન્ડ વિસ્તાર અતિ સમૃદ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here