[અલકેશ પટેલ] અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026: Bhartiya Vichar Manch પ્રાચીન કાળમાં કોઈપણ વિષય ઉપર ભારતમાં સંશોધન – લેખન થયું ન હોય એવું નથી. વેદોમાં આપેલા જ્ઞાનનો આપણા પૂર્વજોએ યોગ્ય ઉપયોગ કરીને તમામ વિધામાં સચોટ સિદ્ધાંત આપ્યા છે તેમ શહેરમાં આજે આયોજિત એક રાષ્ટ્રીય સેમિનારમાં તમામ વક્તાઓએ ભારપૂર્વક જણાવીને તેને પુરાવા સાથે પ્રતિપાદિત કર્યું હતું.
આ વિદ્વાન વક્તાઓ ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત “ભારતની વૈશ્વિક ભૂમિકા: કાલ, આજ અને આવતીકાલ” વિષય પર રાષ્ટ્રીય સંમેલનમાં બોલી રહ્યા હતા. આવા મહત્ત્વના વિષય ઉપર સેમિનારનું આયોજન અટલ–કલામ રિસર્ચ પાર્ક, ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. સર્વશ્રી ઈન્દુમતીબેન કાટદરે, ડૉ. નીરજા ગુપ્તા, સુનિલ મહેતા, જે. નંદકુમાર, મેજર જનરલ (નિવૃત્ત) ડૉ. એસ.બી. અસ્થાના જેવાં વિદ્વાન મહાનુભાવોએ ઉપસ્થિત સેંકડો લોકોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે દેશના વિવિધ ક્ષેત્રોના વિદ્વાનો, સંશોધકો અને પ્રબુદ્ધજનોએ ઉપસ્થિત રહી ભારતના વૈશ્વિક દૃષ્ટિકોણ પર વિચારમંથન કર્યું.
સંગોષ્ઠિની શરૂઆતમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા દ્વારા પ્રસ્તાવના રજૂ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે ભારતનો મૂળભૂત વિચાર “રાષ્ટ્રને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવી વિશ્વના કલ્યાણ તરફ આગળ વધવાનો” છે. ભારત માત્ર એક દેશ નહીં પરંતુ વિશ્વને દિશા આપતી વિચારધારા છે, તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રશાંત પોળ લિખિત “ઈન્ડિયાથી ભારત પ્રવાસ” તથા જે. નંદકુમાર લિખિત “નેશનલ સેલ્ફહૂડ ઇન સાયન્સ” પુસ્તકોનું લોકાર્પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતા તથા પુનરુત્થાન વિદ્યાપીઠના કુલાધિપતિ સુશ્રી ઈંદુમતીબેન કાટદરે દ્વારા કરવામાં આવ્યું.







