પોરબંદરઃ શહેરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીર મંડપ મહોત્સવમાં આજે સવારે મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક તે ધરાશાયી થયો હતો. આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે 16 લોકોને ઈજાઓ થઈ હતી. અંદાજે 50 થી 55 ફૂટનો ઉંચો મંડપ હતો. મંડપ ધરાશાયી થવાથી નાસભાગ મચી ગઈ હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, પોરબંદર શહેરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા આજે બુધવારે સવારના સમયે મંડપ ઉભો કરવામાં આવ્યો, તે દરમિયાન એકાએક નીચે પટકાયો હતો, જેના કારણે એક વ્યકિતનુ મોત થયું હતું. જયારે 16 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા, તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવના ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા મંગળવારની રાત્રીના જ મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા હતા, આજે બુધવારે સવારના સમયે મંડપ ઉભો કરવાનું મર્હુત હતુ પરંતુ જ્યારે મંડપ ઉભો કરવામાં આવ્યો ત્યારે કોઇ કારણોસર તે નીચે પટકાયો હતો. મંડપ પડકાવાથી એક વ્યકિતનું મોત થયું હતું, જયારે નાસભાગના કારણે 16 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. મંડપ મહોત્સવમાં હજારોની સંખ્યામા લોકો એકત્રિત થયા હતા.
સ્થાનિક લોકોના કહેવા મુજબ પોરબંદરના ચોપાટીના મેળા ગ્રાઉન્ડ પર મંડપ ધરાશાઇ થતા અફરાતફરી મચી હતી. જેના કારણે આ દુર્ધટનામાં 16 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને દૂર કર્યા હતા. આ વિસ્તારના લોકો રામદેવપીર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. સમયાંતરે ચોપાટી ખાતે મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આવી દુર્ઘટનાનો સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો હતો.