(પુલક ત્રિવેદી)

દરેકના વ્યક્તિના જીવનનું કોઈને કોઈ લક્ષ્ય હોય છે. પ્રત્યેક વ્યક્તિની અમૂક આવશ્યકતાઓ હોય છે. લક્ષ્ય અને જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા પરિશ્રમની સાથે પ્રેરણાની આવશ્યકતા રહે છે. મનમાં દ્રઢિભૂત થઈ ગયેલી વર્ષો પૂરણી આદતોને તોડીને નવી સારી બાબતો વિકસાવવા માટેનું મોટિવેશન મહત્વપૂર્ણ બનતુ હોય છે. ઘણા લોકો મોટિવેટ થવા માટે સતત સંઘર્ષ કરતા જોવા મળે છે. ખાસ કરીને જે લોકો ચિંતા અને માનસિક પરિતાપમાં હોય અને નિર્ણયો લેવા માટે અસમર્થ હોય એમને માટે સેલ્ફ મોટિવેશન એક અકસિર ઇલાજ છે. એક બાજુ વિટંબણાઓ અને બીજી બાજુ સંભાવનાઓથી ભરેલી આ દુનિયામાં પોતાની શક્તિઓનું પ્રતિબિંબ પ્રદર્શિત કરતી પ્રેરક વાતો વ્યક્તિની આંગળી ઝાલીને અને આગળ ધપવામાં મદદરૂપ બનતી હોય છે. પ્રેરણા એક એવી ચિનગરી છે જે વ્યક્તિના જીવનમાં તાજગી અને ઉત્સાહ જગાવે છે. આ એક એવી તાકાત છે કે, વ્યક્તિના દ્રઢ સંકલ્પને પ્રેરિત કરીને મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો કરવા માટે એને સજ્જ કરે છે.

સીધો સવાલ એ થાય કે, સ્વયં મોટિવેટ થવાની જરૂર શા માટે ? વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે મોટિવેશન શી રીતે ઉપયોગી થાય ? જ્યારે વ્યક્તિ તેના પોતાના ઉદ્દેશ્ય અને આંતરિક ઊર્જાની મજબૂત ભાવનાથી મોટિવેટ થઈ જાય છે ત્યારે તેનું ધ્યાન એકાગ્ર બનીને સચેત થઈ જાય છે. એની પાસે સ્પષ્ટ ખ્યાલ સુનિશ્ચિત થઈ જાય છે કે, એણે જીવનમાં શું કરવાનું છે. એની ઉત્પાદન ક્ષમતા અને વ્યક્તિગત દેખાવમાં અપ્રતિમ સુધારો થવા લાગે છે. બીજું મોટિવેશન દ્રઢતા અને સામંજસ્યમાં વધારો કરવાનું મહત્વનું પરિબળ બનતું હોય છે. જ્યારે વ્યક્તિ પ્રેરણા મેળવી માનસિક સશક્ત બને છે ત્યારે એની સામેની ચેલેન્જીસનો એ મુકાબલો કરીને નવી ચેલેન્જીસને શોધી તેના પ્રતિકાર માટે કૌશલ્યનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ બને છે. વ્યક્તિનો દ્રષ્ટિકોણ હકારાત્મક બને છે અને માનસિક આનંદને વિકસાવવામાં એને મદદ મળે છે. સ્વયં મોટિવેશન ન માત્ર પોતાને જ ફાયદો આપે છે આસપાસના લોકોને પણ એનાથી સકારાત્મક રીતે પ્રભાવિત થવા મળે છે.

યુક્રેન-રશિયા યુદ્ધ, ઇઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ, વૈશ્વિક આર્થિક સંકટો, કુદરતી હોનારતો વગેરે પરિબળો ઉપરાંત સામાજિક અને વ્યક્તિગત આર્થિક વિટંબણાઓથી ઘેરાયેલો આજનો માનવી આનંદ અને ઉત્સાહ મેળવવાની તલાશમાં ફાંફા મારે છે. માનસિક પરિતાપમાંથી મુક્ત થવા અને આગળ ધપવા વ્યક્તિ મથતો જોવા મળે છે. આ પરિસ્થિતિમાં કોઈ મનગમતી સ્પોર્ટસ રમે કે વાંચન કરે છે તો કોઈ લખીને આનંદ મેલવે છે કે ટ્રેકિંગ કરવા નિકળી પડે છે. તો વળી કોઈ પોતાના પ્રિય પાત્ર સાથે સેર કરવા નીકળી પડે તો કોઈ લોંગ ડ્રાઈવ કરે આ યાદી હજુ ઘણી લંબાવી શકાય. આ બધામાં એક સર્વસામાન્ય પ્રવૃત્તિ એ છે કે, જે બધાને એક સરખી રીતે પ્રોત્સાહિત કરે છે અને એ છે મોટિવેશનલ સ્પીકરની વાત સાંભળવી. આ મોટિવેશનલ સ્પીકર્સની વાતો સાથે વ્યક્તિ આસાનીથી કનેક્ટ થતો હોવાનું જણાયું છે. વિશ્વભરમાં લોકોની સમસ્યાઓને આઘી હડસેલી એમના જીવનમાં તાજગી ભરવા તથા લક્ષ્ય હાંસલ કરવા માટે મોટિવેશનલ સ્પીકર્સના સેમિનારોમાં લોકોની ભીડ ઉમટે છે. ભારતમાં પણ ઉત્સાહવર્ધક વાતો વહેંચતા અને પ્રેરણાસ્ત્રોત બનતા કેટલાક મોટિવેશનલ સ્પીકર્સનો ઉલ્લેખ કરવા જેવો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કે મોકો મળે તો રૂબરૂ આ સ્પીકર્સના વિચારોને સ્પર્ષવા જેવા છે. એની કોઈ ગેરંટી નથી કે આવા સ્પીકર્સને સાંભળીને જીવન બલાઈ જ જશે પણ એટલું ચોક્કસ કહી શકાય કે, જીવન જોવાનો નજરીયો જરૂર બદલાઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here