અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કરતા કહ્યું કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આ વાતની ખાતરી આપી છે. જો કે વિદેશ મંત્રાલયે ટ્રમ્પના દાવાને ફગાવી દીધા છે. મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથે વાત કરી કે નહીં તે અંગે તેની પાસે કોઈ માહિતી નથી.
ટ્રમ્પના દાવા બાદ, ભારતે ગુરુવારે (16 ઓક્ટોબર) જણાવ્યું હતું કે તે બજારની સ્થિતિ અનુસાર તેના ઊર્જા પુરવઠાના સ્ત્રોતોનું વિસ્તરણ અને વૈવિધ્યીકરણ કરી રહ્યું છે. ટ્રમ્પના દાવા સાથે જોડાયેલા એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે તેમને આવી કોઈ ફોન વાતચીતની જાણ નથી. “ભારતની તેલ પ્રાપ્તિ નીતિ અસ્થિર ઊર્જા પરિદ્રશ્યમાં ભારતીય ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે,” તેમણે કહ્યું.
શું વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે કહ્યું, “જ્યાં સુધી મને ખબર છે, ગઈકાલે (બુધવાર, 15 ઓક્ટોબર) વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે કોઈ ફોન પર વાતચીત થઈ ન હતી. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે છેલ્લી ફોન પર વાતચીત 9 ઓક્ટોબરે થઈ હતી.
ટ્રમ્પના ધૂર્ત દાવાઓ ફરી સામે આવ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને લઈને ઘણા મોટા દાવા કર્યા છે. તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય પણ લીધો હતો, પરંતુ ભારતે તેનો ઇનકાર કર્યો હતો. હવે ટ્રમ્પે રશિયન તેલ અંગે દાવો કર્યો છે. ટ્રમ્પ હાલમાં પાકિસ્તાનની ખૂબ નજીક છે અને તેના કારણે તેમના ભારત સાથેના સંબંધો તંગ બની ગયા છે.
રશિયન તેલ અંગે વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા શું હતી?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે ટ્રમ્પના દાવા પર સીધો જવાબ આપ્યો ન હતો. “સ્થિર ઉર્જાની કિંમતો અને સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવો એ અમારી ઉર્જા નીતિના બે મુખ્ય સ્તંભો છે. આમાં ઊર્જા પુરવઠાના અમારા સ્ત્રોતોનો વિસ્તાર કરવો અને તેને બજારની પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવાનો સમાવેશ થાય છે,” તેમણે જણાવ્યું હતું.








