પાલનપુર, 17 ફેબ્રુઆરી 2026: બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડમાં હાલ રાજગરાના પાકની ધૂમ આવક થઈ રહી છે. ખેડૂતોને રાજગરાના 20 કિલોના રૂ.1700 સુધીના ભાવ મળી રહ્યા છે. તેથી ખેડૂતોમાં ખૂશી જોવા મળી રહી છે.
પાલનપુર માર્કેટયાર્ડ રાજગરાના વેપારનું મુખ્ય કેન્દ્ર બની ઉભરી આવ્યું છે.રાજ્યભરમાં થતી કુલ રાજગરાની આવકમાંથી અંદાજે 50 ટકા જેટલો હિસ્સો અહીંથી ખરીદી-વેચાણ થાય છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજગરાના ભાવોમાં આશરે 150 ટકા સુધીનો નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં રાજગરાના 20 કિલોના રૂ.1700 સુધીના ભાવ પડી રહ્યા છે.
રાજ્યના કુલ ઉત્પાદનમાંથી અંદાજે 50 ટકા હિસ્સો પાલનપુર કેન્દ્ર પરથી વેચાય છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાવ રૂ.1000 થી વધીને રૂ.2500 સુધી પહોંચ્યા હતા. વર્ષ 2025 ની શરૂઆતમાં 20 કિલોના ભાવ રૂ.1100 થી 1300 રહ્યા હતા, જ્યારે હાલ જૂના જથ્થા અને નવા માલને રૂ. 1500 થી 1700 સુધી ભાવ મળી રહ્યા છે. વેચાણ માટે બજાર વિસ્તાર અને અન્ય તાલુકાના ખેડૂત-વેપારીઓ મોટી સંખ્યામાં પાલનપુર માર્કેટયાર્ડ ખાતે આવે છે. અન્ય સેન્ટરોનો માલ પણ અહીં આવતાં, માર્કેટયાર્ડ રાજગરા વેપારનું કેન્દ્ર બન્યું છે.
બનાસકાંઠામાં રાજગરાના ભાવ વર્ષ 2021 માં 1000, 2022 માં 1200, 2023 માં વરસાદના કારણે અને માંગ વધતા 2500 સુધી ભાવ ગયા હતા.2024 માં 1030 અને 2025 માં 1100 થી 1700 સુધીનો ભાવ મળે છે.






