અમરેલી, 17 ફેબ્રુઆરી 2026:  ગીરના જંગલમાંથી સ્થળાંતર થઈને અમરેલી જિલ્લામાં વનરાજોનો વસવાટ વધી રહ્યો છે. આમ તો સિંહ ક્યારેક જ વ્યક્તિ પર હુમલો કરતો હોય છે. પણ તાજેતરમાં ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં એક સિંહણે આંબાના બગીચામાં કામ કરી રહેલી મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બનાવ બન્યા બાદ વન વિભાગે સિંહણને પકડવા પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગની સતત મહેનતને અંતે હુમલાખોર સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી છે.

આ બનાવની વિગત એવી હતી કે, ધારી તાલુકાના ગોવિંદપુર ગામની સીમમાં આવેલા આંબાના બગીચાનો ઈજારો રાખનાર મહિલા જ્યારે બગીચામાં કામ કરી રહી હતી, ત્યારે અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. સિંહણે મહિલાને ગળાના ભાગે પકડી પાડી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા જ ધારી વન વિભાગનો કાફલો તાત્કાલિક ગોવિંદપુર દોડી ગયો હતો. માનવભક્ષી બનેલી આ સિંહણને પકડવા માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક અલગ-અલગ વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગની સતત મહેનતને અંતે હુમલાખોર સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here