ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે ભાવનગરના બગદાણા ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન-બગદાણા દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂત દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ ધરતી પર સૌના પેટ ભરવાનું કામ ખેડૂતો કરે છે, ખેડૂતો સૌથી મોટા પરોપકારી છે. તેમણે આવનારી પેઢીના ભલા માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી. તેમણે પૂજ્ય બજરંગદાસ બાપાને યાદ કરી તેમની પરોપકારી વૃત્તિની પણ સરાહના કરી હતી. બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલએ કહ્યું કે, ખેડૂતોને એ વાતનો ડર હોય છે કે, રાસાયણિક ખાતર નહીં વાપરીએ તો ઉત્પાદન ઘટી જશે. પરંતુ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, બલ્કે વધે છે. પ્રાકૃતિક ખેતીમાં ગાયનું છાણ અને ગૌમૂત્ર વરદાનરૂપ હોવાનું જણાવી તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકારે અભિયાન ચલાવ્યું છે. જેના પરિણામે આજે રાજ્યમાં લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

તેમણે ઉમેર્યું કે, હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક ખેતીને સફળ બનાવવામાં મહિલાઓનું બહું મોટું યોગદાન છે. ગુજરાતમાં પણ પ્રાકૃતિક ખેતી માટે બહેનો આગળ આવે એ માટે તેમને તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક કૃષિ સખી તરીકે ગામની અન્ય મહિલા ખેડૂત બહેનોને તાલીમ આપનાર બહેનોને દર મહિને મહેનતાણું પણ આપવામાં આવશે.

રાજ્યપાલએ ખેડૂતો સાથે સંવાદ સાધતાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતી કરતા ભાવનગરના ખેડૂત નારસંગભાઈ એક વીઘા જમીનમાંથી વર્ષે ત્રણ લાખની આવક મેળવે છે જ્યારે કચ્છના ખેડૂત રતિભાઈ એક એકર જમીનમાંથી આઠ થી દશ લાખની આવક મેળવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here