અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં રૂ. 146 કરોડના અનેક વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત દેશવાસીઓને હોળીના પર્વની શુભકામનાઓ આપીને કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અત્યારે ત્રણ પ્રોજેક્ટનું ઇ-ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને તેનો શિલાન્યાસ વર્ચ્યુઅલ રીતે થઈ રહ્યો છે. જેમાં એક મહત્વનો ઘટનાક્રમ સાણંદ-ચેખલા-કડી રોડ પર અમદાવાદ-વિરમગામ રેલવે ટ્રેક પર અંદાજે 1 કિમી લાંબો રેલવે ઓવરબ્રિજ બનાવવાનો છે. જેમાં 60 કરોડના રોકાણનો સમાવેશ થાય છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક વખત ઓવરબ્રીજનું નિર્માણ પૂર્ણ થઈ ગયા પછી તેનાથી સ્થાનિક રહેવાસીઓને તેમની દૈનિક અવરજવરની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, આજે નેશનલ હાઇવે નંબર 147 પર નર્મદા કેનાલ પર રૂ.36.30 કરોડના ખર્ચે 4 લેન બ્રિજ અને છારોડી ખાતે સરખેજ-ગાંધીનગર (એસજી) હાઇવે પર રૂ.45 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ વિકાસના કામો ગાંધીનગર લોકસભા મત વિસ્તારના ચાર વિધાનસભા મત વિસ્તારમાં વિકાસના નવા સિમાચિન્હો સ્થાપિત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં હજારો કરોડના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. ઇન્ફ્રાસ્ટ્રકચરની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાત હાલ ભારતભરમાં પ્રથમ સ્થાને છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સાણંદ તાલુકા, કલોલ વિધાનસભા મતવિસ્તાર અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં વિકાસ થયો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ માળખાગત પ્રોજેક્ટ્સથી સ્થાનિક રહેવાસીઓની સુવિધામાં વધારો થશે, કનેક્ટિવિટીમાં સુધારો થશે અને રોજગારી, ઉદ્યોગ અને વ્યવસાયને નવું પ્રોત્સાહન મળશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત સરકાર સાણંદમાં 500 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સાણંદ અને બાવળા તાલુકાના તમામ નાગરિકો માટે આ હોસ્પિટલ 24 કલાક ખુલ્લી રહેશે તેવો ભારત સરકારે નિર્ણય કર્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ વિસ્તારમાં અનેક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોનું નિર્માણ થઈ રહ્યું છે. વધુમાં ભારત સરકાર દ્વારા કલોલ તાલુકામાં 300 બેડની સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શાહે જણાવ્યું હતું કે, એક વખત આ તમામ હોસ્પિટલોનું નિર્માણ પૂર્ણ થઈ જાય પછી દરેક વ્યક્તિને પોતાના ઘરની નજીક અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાશે.







