સુરતઃ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવારનવાર પડતા હોય છે, ત્યારે ઊંચા પર્વતોની હારમાળા અને જગલની વચ્ચે આવેલું ગોકુળિયા ગામ સમાન સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધજ ગામ ગુજરાતનું પહેલું ઈકો વિલેજ છે. સુરત વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી આ ગામ પર્યાવરણ, પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યુ છે. રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સામૂહિક ચેતના આવે અને આર્થિક વિકાસની સાથોસાથ પર્યાવરણને સંતુલિત કરી શકાય તેવા શુભ આશયથી વર્ષ ૨૦૧૬માં ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરાયું હતું. આવનાર સમયમાં સુરતના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને ઈકો વિલેજ તરીકે ડેવલપ કરાશે, એમ નાયબ વન સંરક્ષક શ્રી આનંદકુમારે જણાવે છે.
સુરતથી 70 કિમી અને માંડવી તાલુકા મથકથી 27 કિલોમીટર અંતરે માલધા ગ્રુપ ગ્રામપંચાયતની હદમાં ધજ ગામ આવે છે. ગાઢ જંગલની વચ્ચોવચ આવેલું આ ગામ એક સમયે પ્રાથમિક સુવિધાથી વંચિત હતું. ગામમાં અવરજવર માટે પાકા રસ્તા કે વીજળીની સુવિધા ન હતી. ગ્રામજનો જંગલ પેદાશો પર નિર્ભર હતા. જંગલ પેદાશ તેમની રોજગારી હતી. સામાન્ય રીતે ગામમાં કોઈનું મરણ થાય ત્યારે જંગલના લાકડાનો વધુ ઉપયોગ થતો હતો, આથી સરકારી ગ્રાન્ટમાંથી સ્મશાન બનાવ્યું અને લોખંડની સગડી મૂકી લાકડાનો વપરાશ પણ ઘટાડવામાં
આવ્યો છે.
પર્યાવરણ સુધારણા અને પદૂષણ નિયંત્રણનું કામ કરવા ગુજરાત ઈકોલોજી કમિશને ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરી પાયાની સુવિધા પૂરી પાડી છે. કમિશન અને વન વિભાગના ઉપક્રમે સસ્ટેનેબલ ટેકનિક, સામૂહિક પ્રયાસોથી થયેલા પર્યાવરણ સંરક્ષણના કારણે ધજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ આવી છે.
નાયબ વન સંરક્ષક આનંદકુમારે જણાવ્યું હતું કે, 2016માં ધજ ગામ ઈકો વિલેજ જાહેર થયા બાદ પર્યાવરણની જાળવણી માટે બાયોગેસ, ભૂગર્ભ જળ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, સૌર ઊર્જા સંચાલિત સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ગામના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃત્ત બને એવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. હાલ GEC (ગુજરાત ઈકોલોજીકલ કમિશન)નું વન વિભાગ સાથે મર્જર થયું છે. આગામી સમયમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને ઈકો વિલેજ તરીકે વિકસાવવામાં આવશે.