ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26નું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યુ હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું સતત ચોથીવાર બજેટ રજૂ કર્યું હતુ. આ બજેટમાં સરકારે રોજગારી-મહિલા-યુવા- કૃષિ દરેક વિભાગને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરી છે.
નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહમાં બજેટ રજુ કરતા જણાવ્યું હતું કે, આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની 1 લાખ 20 હજાર રૂપિયાની સહાયમાં મકાનદીઠ 50 હજાર રૂપિયાના માતબર વધારા સાથે 1 લાખ 70 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે.
નાણા મંત્રીએ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેમાં વડીલોપાર્જીત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક કમીના લેખ પર, પ્રવર્તમાન 4.90% સ્ટેમ્પ ડયુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત રૂ.200ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે. તેમજ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઈઓ મુજબ વર્તમાન સમયમાં રૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ માટેના ‘ગીરોખત’ પર 0.25% લેખે મહત્તમ રૂ.25,000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ રૂ.5,000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે. જેથી હાઉસીંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે. એક વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડયુટી ભરવાની જોગવાઈ છે. જેના સ્થાને રહેણાંક માટે રૂ.500 તથા વાણિજ્ય માટે રૂ.1000ની સ્ટેમ્પ ડયુટી લેવામાં આવશે. તેમજ અન્ય સમયગાળાના ભાડાપટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત, નાગરિકો અને નાના ઉદ્યોગકારોના સમય અને શક્તિનો બચાવ થાય તે હેતુસર. ત્રીરોખત, ગીરોમુક્તિ લેખ, ભાડા પટ્ટા લેખ કરવા માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જવાને બદલે, ઘરે બેઠા ઈ-રજીસ્ટ્રેશનની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.
નાણા મંત્રીએ બજેટમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવાની જાહેરાત કરી હતી. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને “નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે. અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં “સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે.